- હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા પછી આખરે સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી
- મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તા. 30 મે, 2026ના રોજ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી ભારે વિવાદમાં સપડાઈ હતી. સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ પાલિકાએ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓના આધારે હવે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસર ન પડે અને કાર્યવાહી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે પાલિકાએ પાંચ ઈજનેરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.
પાંચ અધિકારી સસ્પેન્ડ
પાલિકાએ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર સુજલ કુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે.
જરૂર નહોતી તેવા અધિકારીઓ પણ હાજર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ઝોનલ ઓફિસર તરીકે ડિમોલિશન દરમિયાન હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ જીવનરામજીવાલાની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે. બીજી તરફ, રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિને આ ડિમોલિશન કામગીરી સાથે સીધી જવાબદારી ન હોવા છતાં તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની હાજરી અને ભૂમિકાને લઈને પણ તપાસમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને જુનિયર ઈજનેરની કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે. બે કાર્યપાલક ઈજનેર ક્લાસ-વન અધિકારી હોવાથી તેમના સસ્પેન્શન માટે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટેની દરખાસ્ત રજૂ કરશે. ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.
અનેક મોટા માથાની સંડોવણી
નાસીરનગર ડિમોલિશન દરમિયાન માત્ર પાલિકાની કામગીરી જ નહીં, પરંતુ રાજકારણીઓની સંભવિત દખલગીરી અને પોલીસની ભૂમિકાને લઈને પણ અનેક ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે પાંચ ઈજનેરો સામે કાર્યવાહી થતાં ચર્ચા એ છે કે તપાસનો વ્યાપ માત્ર અધિકારીઓ સુધી જ સીમિત રહેશે કે પછી સમગ્ર ઘટનામાં જેની સામે આક્ષેપો થયા છે તે તમામની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થશે. તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.



.png)