મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને રોમાંચક મેચમાં 9 રનથી હરાવ્યું છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ફિફ્ટીથી MIને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, પંજાબની ટીમની શરૂઆત ખૂબ જ શરમજનક રહી હતી કારણ કે જસપ્રિત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝીએ તેમના સ્પેલમાં ઘાતક બોલિંગ કરી હતી અને પંજાબનો સ્કોર માત્ર 14 રનમાં 4 વિકેટે ઘટાડી દીધો હતો.
શિખર ધવનની ગેરહાજરીમાં ટીમનો ટોપ ઓર્ડર ખરાબ રીતે પડી ભાગ્યો હતો. પર્પલ કેપ ધારક જસપ્રિત બુમરાહે મેચમાં 3 વિકેટ લઈને પંજાબની બેટિંગની કમર તોડી નાખી હતી. પંજાબ તરફથી આશુતોષ શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. આશુતોષે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ન હતો.
મુંબઈએ પંજાબને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો
મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 53 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ 36 રન બનાવ્યા હતા. તિલક વર્મા 34 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલે શાનદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. સેમ કરનને 2 વિકેટ મળી હતી.