ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પહેલાં તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. ત્યારે ભાજપે આજે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે ભાજપે 182 બેઠકમાંથી 178 બેઠક પરના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ પર અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે તો રાધનપુરમાં લવિંગજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના 12 ઉમેદવારની યાદી
રાધનપુર- લવિંગજી ઠાકોર
પાટણ- ડૉ. રાજુલબેન દેસાઈ
હિંમત નગર- શ્રી વી.ડી.વાલા
ગાંધીનગર દક્ષિણ- અલ્પેશ ઠાકોર
ગાંધીનગર ઉત્તર- રીટાબેન પટેલ
કલોલ- બકાજી ઠાકોર
વટવા- બાબુસિંહ જાધવ
પેટલાદ- કમલેશ પટેલ
મહેમદાબાદ- અર્જુનસિંહ ચૌહાણ
ઝાલોદ- મહેશ ભૂરિયા
જેતપુર- જયંતીભાઈ રાઠવા
સયાજીગંજ- કેયુર રોકડિયા
સૌરાષ્ટ્રમાં નવા ચહેરાને સ્થાન આપી સમીકરણો બદલ્યા
ગુજરાતમાં રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપએ મોટા ભાગના નવા ચહેરા જાહેર કરીને તમામ સમીકરણો બદલી નાખ્યા છે, જૂના જોગીઓને ઘરે બેસાડી દીધા છે. રાજકોટમાં ચારેય સીટ પર નવા ચહેરા જાહેર કરીને ભાજપે કોઈ રિસ્ક લીધું નથી. આંતરિક જૂથવાદને ખાળવાનો મોટો પ્રયાસ કર્યો છે. જામનગરની વાત કરીએ તો રીવાબાને ટિકિટ આપી પૂનમ મેડમ મેડમને લોબિંગ કર્યું હતું, જેથી તેની સાંસદની સીટ પણ અકબંધ રહે. તો સૌરાષ્ટ્રમાં પક્ષપલટા કરનાર કોંગ્રેસના નેતાઓને પણ ભાજપે ટિકિટ આપી અને બેઠક સિક્યોર કરી છે, જેમાં કુંવરજીભાઈ જવાહર ચાવડા, ભગા બારડ જેવા નેતાઓને ટિકિટ આપી કોઈ જાતનું રિસ્ક લીધું નથી.
જૂનાગઢ ભાવનગર અમરેલીમાં ભાજપે અનેક નવા ચહેરાઓને તક આપી છે. જૂના જોગીઓ નારાજ ન થાય એ માટે પહેલેથી જ તેની પાસે ચૂંટણી ન લડવાના જાણે શપથ લેવડાવી લીધા હોય અને તમામને જિતાડવાની બાંહેધરી પણ લીધી છે. સૌરાષ્ટ્રમાં ક્યાંક અંશે હજી સંઘનો દબદબો જોવા મળી રહ્યો છે સંઘના પાયા રાજકોટ સૌરાષ્ટ્રથી નખાયા હતા, શંખ સાથે કનેક્શન ધરાવતા અનેક લોકોને ભાજપે ટિકિટ આપી અને પાર્ટીથી મોટો સંઘ છે એવું મહદંશે સાબિત કરી દીધું છે. તો મોરબીમાં મોટી હોનારત થઈ એનું રાજકારણ ફેરવવા કાંતિ અમૃતિયાને ટિકિટ આપી અને મંત્રી કક્ષાના કાપી નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યારસુધી જૂના જોગીઓનો ભારે દબદબો હતો, પરંતુ હવે આ દબદબો દૂર કરી એક નવી જ ભાજપની પ્રણાલી ઊભી કરવાનો ભાજપે તખતો ગોઠવ્યો છે. સૌરાષ્ટ્ર હર હંમેશાં રાજકારણની પાઠશાળા રહી છે તો હવે સૌરાષ્ટ્રમાંથી ભાજપ નવા રાજકારણના પાઠ ભણાવશે. અત્યારસુધી વિજય રૂપાણી વજુભાઈ જેવા જૂથ સક્રિય હતા એના નજીકનાઓને ટિકિટ મળતી, પરંતુ સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકોમાં ડાયરેક્ટ હાઈકમાંડે રસ લઈ અનેક ગણિત ફેરવી નાખ્યાં છે. જોકે બેઠકો જાહેર થતાં ભાજપમાં ઘણો આંતરિક ગણગણા જ છે અને જૂના ચહેરાવો ઘણા નારાજ પણ જોવા મળી રહ્યા છે.
સુરતમાં રિપીટ થિયરી
સુરતની 11 બેઠક જાહેર થઈ છે, જેમાં ઉધના વિધાનસભા બેઠકને બાદ કરતાં 10 વિધાનસભા બેઠક પર તમામ ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. વિશેષ કરીને સૌથી મહત્ત્વની બાબતે છે કે આ રિપીટ થિયરીને કારણે પાટીદાર મતવિસ્તારોમાં હવે ભાજપને કેટલો લાભ થશે એના પર સૌકોઈની નજર છે.
રાજકોટના 8માંથી 7 જિલ્લાના ઉમેદવારો જાહેર
રાજકોટ જિલ્લાની 8 બેઠક પૈકી ધોરાજીને બાદ કરતાં 7 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 4 બેઠક પર નો રિપીટ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જોકે ધોરાજી બેઠક પર ઉમેદવાર કોણ તેને લઇ હજુ પણ સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 8 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ 8 બેઠક પૈકી 7 બેઠક પર ભાજપને જીત મળી હતી, જ્યારે એક માત્ર ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વસોયા જીત હાસિલ કરી ધારાસભ્ય બન્યા હતા. આજે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી એમાં ધોરાજીને બાદ કરતાં તમામ 7 બેઠક પર ઉમેદવાર જાહેર કરી 4 બેઠક પર નો રિપીટ અને 3 બેઠક પર રિપીટ થિયરી અપનાવવામાં આવી છે.
અમદાવાદના ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાઈ
ભાજપની યાદીમાં અમદાવાદ શહેરમાં ઘણા ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે એમાં પણ ખાસ કરીને પ્રદીપસિંહની નજીક ગણાતા પ્રદીપ પરમારને રિપીટ કરાયા નથી. બીજી તરફ પ્રદીપસિંહ જાડેજાની પણ ટિકિટ પર લટકતી તલવાર હજી સુધી વટવાની સીટ જાહેર કરવામાં આવી નથી. આ સીટ પર 2017માં પ્રદીપસિંહ જાડેજા જીત્યા બાદ ગૃહરાજ્યમંત્રી બન્યા હતા, પરંતુ થિયરીમાં આ વખતે કદાચ તેમની ટિકિટ ન મળે તેવું મનાઈ રહ્યું છે. જોકે તેમના ખૂબ નજીક ગણાતા બાપુનગરના કોર્પોરેટર દિનેશ કુશવાને આ વખતે ટિકિટ મળી છે. બાપુનગર વિધાનસભા માટે ચાલતી મોટાં નામોની અટકળો જેમાં તરુણ બારોટ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ઉમેદવારો હતા તેમના પર પૂર્ણવિરામ મુકાઈ ગયા છે. આ વખતે બાપુનગરની સીટ માટે પ્રદીપસિંહ જાડેજાના ખૂબ જ નજીક ગણાતા દિનેશ કુશવાને ટિકિટ મળી છે.
અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભામાં પણ આ વખતે ભાજપે નવો ચહેરો લાવ્યા છે. આ પહેલાં આ સીટ પર જગદીશ પટેલ ધારાસભ્ય હતા, જે આનંદીબેન પટેલના ખૂબ જ નજીક માનવામાં આવતા હતા, પરંતુ આ વખતે તેમને રિપીટ કરાયા નથી. તેમની જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં પણ મહિલા તબીબને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલાં ચાલુ ધારાસભ્યને કાપવામાં આવ્યા છે, હવે અમદાવાદ શહેરમાં વેજલપુર સીટ પર અમિત ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. જો વિદ્યાર્થી નેતાથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ભાજપમાં તેમની ખૂબ જ મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવી રહ્યું છે.