સુરતમાં રહેતા વકીલ મેહુલ બોઘરા પર TRB જવાને કરેલા જીવલેણ હુમલા મામલે આરોપી સાજન ભરવાડ તરફી જામીન અરજીની માંગ સુરત સેશન્સ કોર્ટમાં કરવામાં આવી હતી. જે 9 સપ્ટેમ્બરના રોજ નામંજૂર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાં સાજન ભરવાડના વકીલ દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જેની સુનાવણીમાં મેહુલ બોઘરા પર હુમલો કરનાર TRB જવાન સાજન ભરવાડને શરતી જામીન આપવામાં આવ્યા છે.
વકીલ મેહુલ બોધરાના હુમલાને લઈને 307 મુજબનો ગુનો નોંધાયો હતો
સુરતના વકીલ મેહુલ બોઘરા પર અઢી મહિના પહેલા ટીઆરબી જવાન સાજન ભરવાડે લાકડા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેને લઇ સમગ્ર ગુજરાતમાં ટીઆરબી જવાનની આવી દાદાગીરી સામે ખૂબ જ ફિટકાર વરસાવાઈ હતી. હુમલાને પગલે સરથાણા પોલીસ મથકમાં જાનથી મારી નાખવાની કોશિશ કલમ 307 મુજબનો ગુનો સાજન ભરવાડ સામે નોંધાયો હતો અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. આજ દિન સુધી સાજન ભરવાડ લાજપોર જેલની કસ્ટડીમાં હતો. જામીન પર બહાર આવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ તે નામંજૂર કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાતા શરતી જમીન મંજૂર કરાયા છે.
TRB જવાન સાજન ભરવાડને મળ્યા શરતી જામીન
વકીલ મેહુલ બોઘરા પરના હુમલા કેસમાં ગુજરાત હાઈકોર્ટ 10 હજારના શરતી જામીન પર સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કર્યો છે. જામીન અંગે શરત મૂકી છે કે જ્યાં સુધી ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી તે સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે તે ઉપરાંત એક વર્ષ સુધી સરથાણા-કામરેજમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. અગાઉ સુરત સેશન્સ કોર્ટે સાજન ભરવાડના જામીન ફગાવ્યા હતા. સાજન ભરવાડ તરફથી કેસ લડનાર વકીલને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરી દેવાયા હતા.
મેહુલ બોધરા પર હુમલાની ઘટના
ઓગસ્ટ મહિનામાં અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.



.png)