ગાયને દોહી કૂતરાને દૂધ પિવડાવવું' માલધારીઓની દૂધની હડતાળમાં આ કહેવત સાચી પડી છે. વડોદરાના માલધારીઓએ આજે ગાયને દોહીને કૂતરાઓને દૂધ પીવડાવી દીધું હતું. માલધારીઓએ જણાવ્યું હતું કે દૂધ ઢોળી દેવું એના કરતાં હાલમાં ચાલી રહેલા શ્રાદ્ધ પક્ષમાં રખડતા કૂતરાઓને દૂધ પીવડાવી દેવું સારું છે.
વડોદરામાં દૂધ વેચાણ કેન્દ્રો બંધ
વડોદરાના વારસિયા વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં માલધારીઓ દ્વારા આજે છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યાં હતાં અને વેચાણ કેન્દ્રો પરનો દૂધનો જથ્થો વિસ્તારમાં રખડતા કૂતરાઓને પીવડાવી દીધું હતું. સવારથી જ આમતેમ રખડી પેટ ભરતા કૂતરાઓને વારસિયા વિસ્તારમાં સવારના સમયમાં જ દૂધ મળી ગયું હતું. માલધારીઓ દ્વારા કૂતરાઓને દૂધ પિવડાવવાની શરૂઆત કરતાં વિસ્તારના તમામ રખડતા કૂતરાઓ એકઠા થઇ ગયા હતા.
ઘરે-ઘરે પહોંચાડનારા માલધારીઓએ દૂધ ન પહોંચાડ્યું
વારસિયા વિસ્તારમાં માલધારીઓએ પોતાના છૂટક દૂધ વેચાણ કેન્દ્રઓ પર વેચાણ માટે આવેલું દૂધ વિસ્તારના રખડતા કૂતરાઓને પીવડાવી દઈને કરેલા વિરોધે વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. તો કેટલાક વિસ્તારોમાં જે માલધારીઓ દ્વારા ઘરે-ઘરે જઈ દૂધ પહોંચાડે છે. તેમણે આજે દૂધ ન પહોંચાડતાં ઘરના લોકોને સવારે દૂધ લેવા માટે બરોડા ડેરીનાં દૂધ કેન્દ્રો પર જવાની ફરજ પડી હતી. પરિણામે, બરોડા ડેરીનાં કેન્દ્રો પર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.
કોર્પોરેશનની ઝુંબેશ ચાલુ જ છે
છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજ્ય સરકાર સામેના માલધારી સમાજના આંદોલને એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે હવે ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવા માટે માલધારી સમાજ પણ પોતાનો વેપાર નહીં કરી, એટલે કે દૂધનું વેચાણ બંધ કરીને સરકાર સામે વિરોધ નોંધાયો છે. મહત્ત્વનું છે કે રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કડકાઇથી ચાલતી હતી, ત્યારે હવે દરેક અલગ અલગ શહેરના ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોરવાડામાં બાંધેલાં ઢોરને પકડી જવાની શરૂઆત કરાઈ છે, જેથી માલધારી સમાજ એક થઈ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા હવે આજે સમગ્ર રાજ્યમાં દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે.





.png)