ભરત ગુજરાતી એસ્ટ્રાજેનિકાની કોરોના રસીને કારણે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે તેવો ખુદ કંપનીએ યુકેની કોર્ટમાં સ્વિકાર કર્યો હતો. આ રસી ઘણા દેશોમાં કોવિશિલ્ડ બ્રાન્ડના નામે પણ વેચવામાં આવી હતી. આ સમાચારને પગલે હાર્ટ એટેકના જોખમ અંગે ચિંતા વધી ગઈ છે. સુરત શહેરમાં છેલ્લા 5 મહિનામાં જ 138 વ્યક્તિઓનાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાં છે. આ પૈકીના મોટાભાગના કેસમાં થયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ આ ગઠ્ઠા કયા કારણથી બન્યા હતા તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

વેક્સિન બનાવનારી કંપનીએ સ્વિકાર્યું છે કે, વેક્સિનથી બ્લડક્લોટ થઈ શકે છે અને તેના કારણે બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ એટેકની સંભાવના વધુ છે. ઉલ્લેખનીય છે કે જેટલા વ્યક્તિના હાર્ટ એટેકથી મૃત્યુ થયાં છે તે પૈકીના લગભગ 60 ટકા મૃતકો યુવા વયના છે. સંખ્યાબંધ મૃતકોના પરિવારજનોએ કહ્યું હતું કે, કોરોના દરમિયાન અમે અને અમારા સ્વજનોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી, પરંતુ ખરેખર આ વેક્સિનના કારણે જ હાર્ટ એટેકના કિસ્સા બન્યા હતા કે કેમ તે અંગે સત્તાવાર રીતે કોઈપણ સમર્થન મળતું નથી.


.png)