લોકસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોના નેતાો દ્વારા ધમધોકાટ પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે મધ્યપ્રદેશના રતલામ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી ભાજપના 400 બેઠકો જીતવાના લક્ષ્યાંક મુદ્દે મહત્વની ટિપ્પણી કરી છે. રાહુલે જનસભાને સંબોધન કરતા કહ્યું કે, ‘ભાજપ નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તેઓ ચૂંટણી જીતશે, તો તેવો બંધારણ બદલી નાખશે, તેથી જ તેઓએ 400 બેઠકો જીતવાનો નારો લગાવી રહ્યા છે.’ તેમણે દાવો કર્યો કે, BJP-NDA 150 બેઠકો પણ જીતી નહીં શકે.

ભાજપના લોકો આરક્ષણ છિનવી લેવા માંગે છે : રાહુલ ગાંધી
રાહુલે કહ્યું કે, ‘આ ચૂંટણી દેશની લોકશાહી અને બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. એક તરફ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને RSS છે, જેઓ બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન (Congress-INDIA Alliance) છે, જેઓ બંધારણ બચાવવામાં લાગ્યા છે. ભાજપના લોકો બંધારણને ખતમ કરી ગરીબો, દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગ પાસેથી આરક્ષણ છિનવી લેવા માંગે છે, પરંતુ અમે ક્યારે આવું નહીં થવા દઈએ. અમે આરક્ષણ પર લગાવાયેલી 50 ટકા લિમિટ પણ હટાવી દઈશું.’

.png)