માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારની ભવ્ય જીતનો દાવો કર્યો હતો. તમામ સમાજનો કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરવા બદલ આભાર માન્યો હતો.
બારડોલી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જામી છે. દિવસ દરમિયાન તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો પ્રમુખ શામજી ચૌધરી, મહામંત્રી શાહબુદ્દીન મલેક, રૂપસિંગ ગામીત અનિલ ચૌધરી, પ્રકાશ ગામીત, વગેરે એ તાલુકાના કોસંબા પીપોદરા માંગરોળ ઉમરપાડા સહિતના વિસ્તારોમાં મતદાન મથકોની મુલાકાત લઈ કોંગ્રેસ પક્ષ તરફે થયેલા મતદાનની માહિતી મેળવી હતી અને જણાવ્યું કે, પ્રથમવાર ભાજપની વોટ બેંક ગણાતા ક્ષત્રિય સમાજે ભાજપના આગેવાન દ્વારા થયેલા અપમાન અન્યાયના વિરોધમાં આગળ આવી કોંગ્રેસ પક્ષ તરફથી મતદાન કર્યું છે. સાથે મુસ્લિમ સમાજની મતદાનની ટકાવારીમાં વધારો થયો છે. એ જ રીતે આદિવાસી સમાજના મહત્તમ મતદારોએ મણીપુર જેવી ઘટનાના વિરોધમાં કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે. હાલના મોંઘવારી બેકારી સહિત સરકારના પ્રજા વિરોધી નિર્ણયથી ત્રાસેલા તમામ સમાજના લોકોનો ઝુકાવ કોંગ્રેસ પક્ષ તરફ રહ્યો છે. અગાઉની ઘણી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને જન સમર્થન ઓછું મળતું હતું. પરંતું આજે મતદારો સરકારના નિષ્ફળ વહીવટથી ત્રાસી કોંગ્રેસને સમર્થન કરતા નજરે જોયું છે. આજ પરિસ્થિતિ સમગ્ર બારડોલી લોકસભા વિસ્તારમાં જોવા મળી છે. જેથી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની ભવ્ય જીતનો દાવો ઉપરોક્ત આધારે કર્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

)

.png)