દારૂ નીતિના કથિત કૌભાંડમાં ઈડીની ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમમાં સુનાવણી પૂરી થઈ શકી નહીં. આથી કોર્ટે વચગાળાનો ચૂકાદો આપવાનું ટાળતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુપ્રીમમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં નિષ્ફળ ગયા હતા. આ કેસમાં કેજરીવાલને વચગાળાની રાહત આપતા જામન આપવામાં તેમણે મુખ્યમંત્રીપદે રહેવું કે કેમ તે મોટો સવાલ છે. આ અસાધારણ સ્થિતિ છે તેમ બેન્ચે જણાવ્યું હતું.

ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે. તેઓ રીઢા ગુનેગાર નથી. તેથી ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમને વચગાળાના જામીન આપવા અંગે વિચારણા કરી શકાય છે. જોકે, બેન્ચે ઉમેર્યું કે, કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવે તો તેમને મુખ્યમંત્રી તરીકેની ફરજોનું પાલન કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, કારણ કે તેનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ શકે છે. બેન્ચે કહ્યું કે, અમે ગુરુવારે ૯ મેના રોજ અથવા આગામી સપ્તાહે આ કેસમાં વધુ સુનાવણી કરીશું.


.png)