તાપી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વ્યારા ખાતે આવેલા કે. કે. કદમ કન્યા વિદ્યાલયના મહિલા આચાર્યને પેન્શન કેસ મામલે હેરાન પરેશાન કરીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો સાથે આચાર્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે આવેલા કે.કે. કદમ કન્યા વિદ્યાલયના આચાર્ય સંગીતાબેન નગીનભાઈ ચૌધરી તા. 31/05/2024ના રોજ નિવૃત્ત થનાર છે. ત્યારે નિવૃત્તિ બાદ પેન્શન મળવાપાત્ર હોય છે, જે પેન્શન મેળવવા માટે રીટાયર્ડ પહેલાં જરૂરી દસ્તાવેજો કાર્યવાહી તથા જરૂરી પૂરતા શિક્ષણ વિભાગમાં કરવાની હોય છે. ત્યારે આચાર્ય દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ક્વેરી આવતા પત્ર પરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ ક્વેરી તાપી જિલ્લા શિક્ષણ અધિકારીએ સંબંધિત આચાર્યને જાણ કરી ઉકેલવાની હોય છે અને પેન્શનની ફાઈલ તથા પત્ર ગાંધીનગર ખાતે મોકલવાના હોય છે.
અહીં પેન્શનની ફાઈલ તથા પત્ર બદ ઇરાદા પૂર્વક આચાર્યને હેરાન પરેશાન તથા માનસિક ત્રાસ આપવા તથા નુકસાન પહોંચાડવાના હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારીએ પેન્શન કેસ તથા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ વગેરેની ક્વેરીનું નિરાકરણ કરીને ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલા નથી તેવા આક્ષેપો આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પેન્શન કેસ ફાઈલ ક્લિયર કરી આપવામાં આવે તેવો હુકમ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવે તેવી માગ સાથે મહિલા આચાર્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી પણ આચાર્ય દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

.png)