સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ થાય તો નવાઈ નહીં. કારણ કે ભાજપે અપક્ષ સહિત 8 ફોર્મ પાછા ખેંચવાની કવાયત હાથ ધરી છે, જેમાં 5 માની માની ગયાનું આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બાકીના ત્રણને યેનકેન પ્રકારે બેસાડી દેવા મથામણ
હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સામે ચૂંટણીમાં અપક્ષ સહિત નાની પાર્ટીના કુલ 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. રવિવારે મોડી રાત સુધી આ 8 ઉમેદવારો સોમવારે ફોર્મ પાછા ખેંચી લેવાની કવાયત પણ ભાજપ દ્વારા કરવામાં આવી હતી. તેમાંથી 5 ઉમેદવારો લગભગ માની ગયા હોવાનું ભાજપના આધારભૂત સૂત્રોનું કહેવું છે. જે ત્રણ ઉમેદવારો માની રહ્યા નથી તેમને પણ યેનકેન પ્રકારે બેસાડી દેવા મથામણ ચાલી રહી છે. જો આઠેય ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચી લે તો બપોરે 3 વાગ્યે ભાજપના મુકેશ દલાલને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવી શકે છે. એકપણ ઉમેદવાર ફોર્મ પાછું નહીં ખેંચે તો મુકેશ દલાલ અને તે ઉમેદવાર વચ્ચે ચૂંટણી થશે. જોકે, આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.