દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકારના મંત્રી આતિશી ભાજપ પર આક્ષેપ લગાવીને સારી રીતે ફસાય ગયા છે. દિલ્હી ભાજપે હવે તેમને માનહાનિની લીગલ નોટિસ ફટકારી દીધી છે. મંગળવારે (2 એપ્રિલ) તેમના આરોપો પર દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પ્રતિક્રિયા આપી હતી અને આતિશીને સાંજ સુધીમાં પોતાના નિવેદન પર ભાજપની માફી માંગવા માટે કહ્યું હતું. પરંતુ આતિશીએ તેવું ન કરતાં હવે દિલ્હી ભાજપે માનહાનિની લીગલ નોટિસ જ ફટકારી દીધી છે.
દિલ્હી ભાજપે બુધવારે (3 એપ્રિલ) દિલ્હીની AAP સરકારમાં મંત્રી આતિશીને માનહાનિની નોટિસ ફટકારી છે. નોંધવું જોઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDએ કોર્ટમાં આતિશી માર્લેનાનું નામ પણ લીધું હતું. જે બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, તેમને ભાજપે ઓફર આપી છે કે, કરિયર બચાવવું હોય તો ભાજપમાં સામેલ થઈ જાવ. નહીં તો ધરપકડ થઈ શકે છે. હવે તેમની આ વાત પર જ દિલ્હી ભાજપે તેમને માનહાનિની નોટિસ ફટકારી છે.
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના (BJPના) અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, “અમે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાને કાનૂની નોટિસ મોકલી છે અને તેમણે જે કહ્યું તેના પુરાવા આપવા કહ્યું છે. અમે તેમને છોડીશું નહીં. આ વખતે તેમણે જવાબ આપવો જ પડશે.” આ ઉપરાંત કહેવાયું છે કે, 15 દિવસની અંદર જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે.



.png)