ડોલવણ ચારરસ્તા પાસે ગળે ટૂપો દઈ 24 વર્ષિય યુવકની હત્યા કરાતા પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. આ યુવકનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું રહસ્ય પોસ્ટમોર્ટમ બાદ ખુલ્યુ હતુ. જોકે, મૃતદેહ ઘરેથી મળી આવ્યો હોય, હત્યારા સુધી પહોંચવા પોલીસે વધુ કસરત કરવી પડે તેમ લાગતુ નથી.

ડોલવણ ચાર રસ્તા પાસે મહેશભાઇ ઠાકોરભાઇ ચૌધરીનાઓ ગતરોજ સવારે આઠ વાગ્યાના અરસામાં તેમના નવા ઘર પાટી મુકામેથી ડોલવણ મુકામે આવેલ જૂના ઘરે દુકાને આવેલ હતા અને ઘરે આવ્યા ત્યારે તેમનો પુત્ર અંકુર જમીન ઉપર ઊંધી હાલતમાં હતો, જેથી ઊંઘતો હશે તેમ કરી દિવાબત્તી કરી દુકાનમાં માલ સામાન આપવા જતા રહેલા હતા. ઘણા સમય સુધી અંકુર ઉઠીને નહીં આવતા તેને જગાડવા માટે પ્રયત્ન કર્યા હતા.
પરંતુ અંકુર જાગેલ નહિ અને તેનું શરીર જકડાઈ ગયું હતું અને મોઢાંના ભાગે લોહી લાગેલ હતો, અંકુર તેના બે મિત્રો સુવા માટે રોજ આવતા હતા પરંતુ ગત રાત્રિના સમયે અંકિતે બંને મિત્રોને તેમના ઘરે સુવા જવા માટે મોકલી દીધા હતા, અંકુરભાઇ મહેશભાઇ ચૌધરી (ઉ.વ.24)નું તેમના જ ઘરમાં તા.12/03/2024 નાં બપોરે 10:30 કલાકથી તા.13/03/2024નાં રોજ 8:15 વાગ્યા દરમિયાન શંકાસ્પદ મોત નિપજ્યુ હતુ.
આ બનાવ બનતા ડોલવણ પોલીસે વ્યારા ખાતે પેનલ પી.એમ. કરાવતા કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણસર,કોઈક વસ્તુઓ વડે ગળું દબાવી, સ્થળ ઉપર મોત નિપજાવી, પુરાવાઓનો નાશ કરી નાસી જઈ ગુનો કર્યા હોવાનું બહાર આવ્યું છે, પીએમ રીપોર્ટમાં ગળુ દબાવી મોત થયાનું બહાર આવતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં પોલીસે હત્યારાને શોધવા ડોગ સ્કોડ એકસપર્ટ ને બનાવની જગ્યાએ બોલાવી તપાસનો દોર શરૂ થયો છે.

.png)