ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર માતાપુરા પાસે જેસીબીની અડફેટે બાઈક સવારે યુવાનનો મોત નીપજ્યું છે. જે સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના હાઇવે માર્ગો છેલ્લા ઘણા સમયથી અકસ્માત માટે હોટસ્પોટ બની ગયા છે ત્યારે ચિલોડા પંથકના માતાપુરા પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવાનનું મોત થયું છે. જે સંદર્ભે ચંદ્રલા ગામમાં રહેતા સનાજી ગાડાજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના બેન મૂળ લીંબોદરા ગામના છે પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી પરિવાર સાથે ચંદ્રાલા ગામમાં રહે છે અને તેમનો મોટો દીકરો વીરાજી ધોરાજી ઠાકોર મૃત્યુ પામ્યો છે. જેમનો નાનો દીકરો ધર્મેન્દ્ર વીરાજી ઠાકોર તેનું બાઇક લઈને ચિલોડાથી ચંદ્રલા ગામ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન માતાપુરા પાટિયા પાસે જેસીબીના ચાલક દ્વારા તેના બાઇકને અકસ્માત સર્જ્યો હતો અને જેમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે ધર્મેન્દ્રનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આ અકસ્માત સર્જીને જેસીબીનો ચાલક નાસી છૂટયો હતો.
ત્યારબાદ પરિવારજનોને જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ધર્મેન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જેથી આ સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા જેસીબીના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

.png)