લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ હવે રાજકીય પક્ષોએ ઉમેદવારી પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. એને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી ચૂક્યા છે. જોકે ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીઓની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્રીજી યાદીમાં મહેસાણા અને અમરેલીના ઉમેદવારનાં નામ જાહેર થવાની કોઈ સંભાવના દેખાતી નથી. માત્ર જૂનાગઢ અને સુરેન્દ્રનગર સીટ પર જ ઉમેદવારોનાં નામ જાહેર થશે.

લોકસભા ચૂંટણીના ફૂંકાયેલા બ્યૂગલ વચ્ચે ગુજરાત ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરામાં રંજનબેન ભટ્ટને ત્રીજીવાર ઉમેદવાર બનાવવાની જાહેરાત થતાં જ વડોદરા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી પહેલા વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાની નારાજગી બાદ કેતન ઇનામદારે કરેલા રાજકીય ડ્રામાને કારણે વડોદરા લોકસભા ઉમેદવાર બદલાવાની ચર્ચા ચાલી છે. આ ઘટનાક્રમ વચ્ચે હાલ ભાજપ બનાસકાંઠા અને વલસાડ સીટના ઉમેદવાર બદલવાની તૈયારી કરી રહ્યો છે.
અનંત પટેલને ટક્કર આપવા ભાજપ ધવલ પટેલને બદલશે
જ્યારે વલસાડ સીટ પરથી ભાજપે નવોદિત ચહેરો એવા ધવલ પટેલને ઉતાર્યા છે, પરંતુ હવે તેમને પણ બદલવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપ ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિકને તક આપે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે તેની સામે કોંગ્રેસના અનંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ વારંવાર ધવલ પટેલ સ્થાનિક ન હોવાની વાતને મુદ્દો બનાવી પ્રચાર કરી રહ્યા છે. ધવલ પટેલ મૂળ નવસારી જિલ્લાના ઝરી ગામના વતની છે તેમજ તેઓ છેલ્લાં 30 વર્ષથી સુરતમાં રહે છે. તેઓ પ્રચાર દરમિયાન કહે છે કે હું વલસાડનો જમાઈ છું. આ રીતે તેઓ મતદારોને પોતાની સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


.png)