ચંડીગઢમાં મેયર પદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરે જીત મેળવી છે. તેમણે I.N.D.I. ગઠબંધનના કોંગ્રેસ અને AAPના સંયુક્ત ઉમેદવાર કુલદીપ ધલ્લોરને હરાવ્યા હતા. આ ચૂંટણીને AAP અને કોંગ્રેસ દ્વારા વિપક્ષી I.N.D.I. ગઠબંધન અને ભાજપ વચ્ચેની પ્રથમ લડાઈ તરીકે દર્શાવવામાં આવી હતી. આ ચૂંટણીમાં, ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને જ્યાં 16 મત મળ્યા હતા, ત્યાં INDI ગઠબંધનના ઉમેદવારને ફક્ત 12 મત મળ્યા હતા.
ચંડીગઢમાં મેયરનો કાર્યકાળ માત્ર એક વર્ષનો હોય છે. જેથી અહીં દર વર્ષે ચૂંટણી થાય છે. વર્ષ 2023-24ના એક વર્ષના કાર્યકાળ માટે ચૂંટણીમાં પણ ભાજપના અનુપ ગુપ્તાએ જીત મેળવી હતી. આ વખતે પણ ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. આ જોઈને AAP અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ચૂંટણીમાં INDI ગઠબંધનના ઉમેદવારને માત્ર 12 મત મળ્યા હતા, પરંતુ વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો કે તેમને 20 મત મળ્યા હતા. જેમાંથી 8 મત જાણી જોઈને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. તેઓએ ચૂંટણી અધિકારી અનિલ મસીહ પર વોટ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે.
ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની કુલ 45 બેઠકો છે. તેમાંથી 9 સભ્યોનું નામાંકન કરવામાં આવે છે, અને બાકીના 35 માટે ચૂંટણી યોજાય છે. આમાં એક સભ્ય ચંડીગઢના સાંસદ પણ હોય છે. આ 36 સભ્યો મળીને મેયરની પસંદગી કરે છે. હાલમાં ચંડીગઢમાં ભાજપ પાસે 16 સીટો છે જ્યારે AAP પાસે 13 સીટો છે. કોંગ્રેસ પાસે 7 સીટો છે. શિરોમણી અકાલી દળ પાસે 1 સીટ છે.



.png)