સુરતમાં પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ ઊભી કરી દીધી છે. સુરત શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસવાને કારણે શહેરમાંથી પસાર થઈ રહેલી ખાડી ઓવરફ્લો થઈ છે અને પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. સુરતના છેવાડે આવેલ કુંભારિયા ગામના ખાડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. કુંભરિયા ગામના પાદર ફળિયામાં આવેલા 50 જેટલા ઘરમાંથી 25થી 30 ઘરમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. જેને લઈ 200થી 250 લોકોની હાલત ખૂબ જ દયનીય બની છે. જેમાંથી કેટલાક લોકોએ નજીકની સ્કૂલો અને વાડીમાં રાત વીતાવવાનો વારો આવ્યો હતો.
પાણીના યોગ્ય નિકાલ ન હોવાને કારણે પહેલા જ વરસાદે ખાડી પૂરની શરૂઆત કરી દીધી છે. ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે, મનપાનું તંત્ર અમારી હાલત પૂછવા પણ આવ્યું નથી અને કોઈ વ્યવસ્થા પણ ઊભી કરી આપી નથી. નેતાઓ માત્ર અમીરો માટે જ કામ કરે છે.


.png)