- સોનગઢ ડોસવાડામાં બોલેરો અને ટ્રકનો અકસ્માત થયો હતો.
- હાઇવે પર સોનગઢના ડોસવાડા ગામની સીમમાં બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
સોનગઢ વ્યારા નેશનલ હાઇવે પર આવેલા ડોસવાડા ગામની સીમમાં ગુરુવારે રાત્રે એક બોલેરો વાન અને ટ્રક વચ્ચે પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બોલેરો કાર માં સવાર એક પ્રૌઢ અને બોલેરો કાર ના ચાલક યુવક નું મોત નીપજ્યું હતું. સોનગઢ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે મળેલી વિગત મુજબ ઉચ્છલ તાલુકાના સેલુડ ગામે દાદરી ફળિયામાં રહેતાં ફરિયાદી રવીશ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. રવીશ ગામીતની માતા રૂથીબહેન ગામીતને ફેફસાંમાં તકલીફ થવાથી સારવાર અર્થે વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
જેથી રવીશભાઈના પિતા નૂરજીભાઈ પોસલીયાભાઈ ગામીત (71) વ્યારા ખાતે હોસ્પિટલમાં પત્નીની ખબર કાઢવા માટે ગયાં હતાં અને ત્યાં જ રોકાયા હતાં. સેલુડ ગામે જ રહેતા તેમના સગા સોમવેલ છગનભાઈ ગામીત (50)નો માછલી નો વ્યાપાર હોય તેઓ દરરોજ સેલુડથી વ્યારા માછલી વેચાણ અર્થે જતાં હતાં. ગુરુવારે રાત્રે આઠ કલાકના અરસામાં સોમવેલભાઈ અને નૂરજીભાઈ ગામીત તેમની બોલેરો કાર નંબર (જીજે -26 -એન-1645) માં વ્યારાથી નીકળી સેલુડ જવા નીકળ્યાં હતાં. રાત્રે નવ કલાકના અરસામાં આ કાર હાઇવે પર ડોસવાડા ગામની સીમમાં આવેલી એક હોટેલ નજીકથી પસાર થતી હતી
ત્યારે એક ટ્રક નંબર (જીજે-36-વી-3362)ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડથી હંકારી બોલેરો કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના બનાવમાં નૂરજીભાઈ ગામીતને માથામાં અને શરીરે ઇજા થઇ હતી અને તેઓ કારમાંથી ઉછળીને રોડ કિનારે પડી ગયાં હતાં જ્યારે કારચાલક સોમવેલભાઈ ગામીત કારના સ્ટિયરિંગ અને ડેસ બોર્ડ વચ્ચે દબાઈ ગયા હતાં અને ગંભીર ઇજા પામ્યાં હતાં.
આ અકસ્માતના બનાવમાં નૂરજીભાઈ અને સોમવેલભાઈને સારવાર મળે એ પહેલાં જ સ્થળ પર મોત નીપજ્યું હતું. આ અંગે જાણ થતાં સોનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર હટાવી ટ્રાફિક ક્લિયર કર્યો હતો અને બંનેના મૃતદેહને પીએમ માટે સોનગઢ ખસેડ્યા હતાં. અકસ્માત બાદ નાસી ગયેલા ટ્રક ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



.png)