ઓડિશામાં ત્રણ ટ્રેન અથડાઈ, 261નાં મોત...900 ઘાયલ:કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઊતરીને માલગાડી સાથે અથડાઈ, પાછળથી દુરંતોએ ટક્કર મારી; PM ઘટનાસ્થળે જવા માટે રવાના

0

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 261 થઈ ગયો છે. ન્યૂઝ એજન્સીએ આ જાણકારી આપી છે. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે થયો હતો. PM મોદી ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગયા છે. સવારે તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી.


આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર, કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઊતરી ગઈ હતી. આ પછી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઊભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.


રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બહાનગા બજાર સ્ટેશન પાસે આઉટર લાઇન પર એક માલગાડી ઉભી હતી. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી સાથે અથડાયું હતું. ટ્રેનના ડબ્બા ત્રીજા ટ્રેક પર પડ્યા હતા. ત્યારે આ ટ્રેક પર વધુ ઝડપે આવી રહેલી હાવડા-બેંગલુરુ દુરંતો કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બાએ ટક્કર મારી દીધી હતી.

શુક્રવારે સાંજે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ NDRF ની ટીમ શનિવારે બચાવ કાર્યમાં લાગી હતી.


અકસ્માતના 20 કલાક બાદ પણ કારણ જાણી શકાયું નથી

શુક્રવારે સાંજે લગભગ 8 વાગ્યે ઓડિશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઊતરી જવાના સમાચાર આવ્યા હતા. આ પછી બીજી ટ્રેન પાટા પરથી ઊતરી જવાની જાણકારી મળી હતી. રાત્રે લગભગ 10 વાગ્યે, સ્પષ્ટ થયું કે બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી ટકરાયા હતા. શરૂઆતમાં 30 લોકો માર્યા ગયાની માહિતી હતી, પરંતુ મોડી રાત્રે આ આંકડો 200ને પાર કરી ગયો.

દુર્ઘટનાના 20 કલાક પછી એટલે કે શનિવારે બપોરે 2 વાગ્યા સુધી રેલવે મંત્રી કે રેલવે મંત્રાલય દ્વારા દુર્ઘટનાના કારણો અંગે કંઈ કહેવામાં આવ્યું ન હતું. મંત્રીથી માંડીને અધિકારીએ માત્ર તપાસ હાથ ધરવા નિવેદન આપ્યું હતું. અહીં, ટ્રેક બંધ થવાને કારણે આ રૂટ પરની 48 ટ્રેનો રદ કરવામાં આવી છે, 39 ડાયવર્ટ કરવામાં આવી છે અને 10 ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે.

અકસ્માતમાં બચી ગયેલા 1000 મુસાફરોને વિશ્વેશ્વરૈયા-હાવડા એક્સપ્રેસ દ્વારા હાવડા તરફ રવાના કરવામાં આવ્યા છે.બાલાસોરથી આવતી એક વિશેષ ટ્રેને 200 ફસાયેલા મુસાફરોને ખોરાક અને રાહત સામગ્રી સાથે સ્થળ પર મોકલ્યા હતા.NDRFની ત્રણ ટીમો અને 20થી વધુ ફાયર સર્વિસ અને રેસ્ક્યુ ટીમો બચાવ કાર્ય માટે તૈનાત છે. 1200 બચાવ કર્મચારીઓ હાજર છે.ભુવનેશ્વરમાં અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે 115 એમ્બ્યુલન્સ, 50 બસો અને 45 મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત કરવામાં આવ્યા છે.NDRF, રાજ્ય સરકારની ટીમ અને એરફોર્સના હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયા છે. ભુવનેશ્વર અને કોલકાતાથી બચાવ ટીમો મોકલવામાં આવી છે.બચાવ કાર્ય માટે આર્મીના ઈસ્ટર્ન કમાન્ડ તરફથી એમ્બ્યુલન્સ અને તબીબી સહાય સાથે મેડિકલ અને એન્જિનિયરિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.ઘાયલોની મદદ માટે 2000થી વધુ લોકો આખી રાત બાલાસોર મેડિકલ કોલેજની બહાર ઊભા રહ્યા. અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ભુવનેશ્વર AIIMSમાં ઘાયલો માટે પર્યાપ્ત બેડ અને ICU સહિતની જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.અત્યાર સુધીમાં 48 ટ્રેનો રદ કરવામાં આવી છે, 39 ડાયવર્ટ કરવામાં આવી છે અને 10 ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. રેલવે બોર્ડના ડાયરેક્ટર અમિતાભ શર્માએ આ જાણકારી આપી.દુર્ઘટનાને પગલે શનિવારે ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

બહાનગા પહોંચવામાં બંને ટ્રેન વચ્ચે 3 કલાકનો તફાવત હતો, પરંતુ એકસાથે આવી ગઈ
ટ્રેન નંબર 12864 બેંગલુરુ - હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 જૂનના રોજ સવારે 7:30 વાગ્યે બેંગલુરુના યશવંતપુર સ્ટેશનથી રવાના થઈ હતી. 2 જૂને રાત્રે લગભગ 8 વાગે હાવડા પહોંચવાનું હતું. એ એના નિર્ધારિત સમય કરતાં 3.30 કલાકના વિલંબ સાથે 06:30 વાગ્યે ભદ્રક પહોંચી હતી. આગલું સ્ટેશન બાલાસોર હતું, જ્યાં ટ્રેન 4 કલાકના વિલંબ સાથે 7:52 વાગ્યે પહોંચવાની હતી.

જ્યારે ટ્રેન નંબર 12841 શાલિમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂને જ બપોરે 3:20 વાગ્યે હાવડાથી રવાના થઈ હતી. એ 3 જૂને સાંજે 4:50 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચે છે. એ સાંજે 6.37 વાગ્યે બાલાસોર પહોંચી. આગલું સ્ટેશન ભદ્રક હતું, જ્યાં ટ્રેન 7:40 વાગ્યે પહોંચવાની હતી, પરંતુ, લગભગ 7 વાગ્યે બંને ટ્રેન બહાનગા બજાર સ્ટેશન પાસે સામસામે પસાર થઈ હતી ત્યારે જ અકસ્માત થયો હતો.

ટ્રેન દુર્ધટનામાં મૃત્યુ પામેલાં લોકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રૂપિયા 50 લાખની સહાય
આ ઘટનામાં પ્રાપ્ત અહેવાલો અનુસાર 238થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મોરારીબાપુ હાલ રામકથા માટે કલકત્તા ગયા છે. આ દરમિયાન એમને આ સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અત્યંત કરુણ ઘટનાને અંગે મોરારીબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી છે. આ ઘટનામાં જેઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે તે અને અન્ય ઘાયલ થયેલા લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે. રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને ઘાયલ લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી છે.

ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું

અકસ્માત એટલો ભયાનક હતો કે કોરોમંડલ એક્સપ્રેસની બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી.

ઘાયલ થયેલા મુસાફરોને બહાનગાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેનમાં ફસાયેલા લોકોને સીડી લગાવીને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

સિગ્નલ ફેઇલ હોવાના કારણે બન્ને ટ્રેન એક જ ટ્રેક પર અથડાઈ હતી.

કોરોમંડલ ટ્રેન 14 વર્ષ પહેલાં પાટા પરથી ઊતરી ગઈ હતી
3 ફેબ્રુઆરી 2009ના રોજ ઓડિશાના જાજપુર જિલ્લામાં પાટા બદલતી વખતે કોરોમંડલ એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયાં હતાં. યોગાનુયોગ એ દિવસે પણ શુક્રવાર હતો.

15 માર્ચ, 2002ના રોજ બપોરે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ટ્રેનના સાત કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં 100 મુસાફર ઘાયલ થયા હતા. 14 જાન્યુઆરી 2012ના રોજ ઓડિશાના લિંગરાજ સ્ટેશન નજીક આ ટ્રેનના જનરલ ડબ્બામાં આગ લાગી હતી.


50થી વધુ એમ્બ્યુલન્સ સ્થળ પર તહેનાત

હાલ 50થી વધુ એમ્બ્યુલન્સ સ્થળ પર તહેનાત છે. ઘાયલ મુસાફરોને બહાનગાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાલાસોર અને અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ મદદ માટે મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. પ્રશાસને અકસ્માતને લઈને ઈમર્જન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જાહેર કર્યો છે. આ રૂટ પરની 6 ટ્રેન રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

બન્ને ટ્રેન એક જ ટ્રેક-લાઇન પર આવી ગઈ
એવું જણાવવામાં આવી રહ્યું છે કે બન્ને ટ્રેન એક જ લાઇન પર આવવાના કારણે આ દુર્ઘટના થઈ છે. રેલવેટ્રેક પર સિગ્નલ ફેઇલ હોવાના કારણે બન્ને ટ્રેન એક જ ટ્રેક પર અથડાઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન શાલિમાર સ્ટેશનથી બપોરે 3:15 વાગ્યે નીકળી હતી. ઓડિશાના બાલાસોરથી 40 કિમી દૂર બહાનગા સ્ટેશન પાસે માલગાડી સાથે અથડાઈને પાટા પરથી 

ઊતરી ગઈ. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે રાજ્યમંત્રી પ્રમિલા મલિક અને વિશેષ રાહત કમિશનર (SRC)ને તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી જવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રી (SRC) ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે બંગાળથી મુસાફરોને લઈ જતી શાલિમાર-કોરોમંડલ એક્સપ્રેસ આજે સાંજે બાલાસોર નજીક માલગાડી સાથે અથડાઈ હતી. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અમે ઓડિશા સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ઓડિશા સરકારની મદદ માટે 5-6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. હું આ મુદ્દે મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પાસેથી માહિતી લઈ રહી છું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top