- બેડકુવાદૂરની ઘટનામાં બંનેના મૃતદેહ અલગ અલગ સ્થળેથી મળ્યા
મૂળ વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામમાં રહેતાં એક પરિવારના બે ભાઈઓ ઉકાઈ કેનાલમાં નહાવા ગયાં બાદ કેનાલના પાણીમાં ડૂબી ગયા હતાં. આ અંગે બે દિવસની શોધખોળ બાદ બંને ભાઈના મૃતદેહ જુદા જુદા સ્થળેથી મળી આવ્યાં હતાં. બેડકુવા ગામના એક જ પરિવારના બે ભાઈઓના કેનાલના પાણી માં ડૂબી જવાથી મોત નીપજતાં ગામમાં શોકની લાગણી ઉભી થઇ હતી.
વ્યારા તાલુકાના બેડકૂવા દૂર ગામ ના આશ્રમશાળા પાસે રહેતાં હરીશભાઈ મુકુંદભાઈ ગામીત હાલ નોકરી અર્થે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ શ્રીજી પાર્કમાં પરિવાર સાથે રહે છે. તેઓ ગત 14મી એ પરિવાર સાથે વતનના ગામ બેડકુવા દૂર ખાતે આવ્યાં હતાં. આ દિવસે તેમના દીકરા કૃણાલ હરીશભાઈ ગામીત (22) અને આયુષ હરીશભાઈ ગામીત (15) ઉખલદા ગામે અન્ય મિત્રો સાથે ગયાં હતાં. દરમિયાન ગામમાં થઈ વહેતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય કેનાલના પાણીમાં તેઓ નાહવા પડ્યા હતાં. નહાતી વખતે આયુષ ગામીતનો પગ પાણીમાં અચાનક લપસતા તે કેનાલના ઊંડા પાણીમાં ડૂબવા માંડ્યો હતો.
આ દ્દશ્ય નિહાળી આયુષનો મોટોભાઈ કૃણાલ તેને બચાવવા માટે કેનાલના પાણીમાં ઝંપલાવ્યું દીધું હતું પણ કમનસીબે બંને ભાઈઓ કેનાલના પાણીમાં ગરક થઈ ગયા હતાં. આ બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી જઇ તરવૈયા અને ફાયર બ્રિગેડની મદદથી પાણીમાં ડૂબી ગયેલા બંને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વ્યારાના ઊંચામાળા ગામ નજીકથી નાના દીકરા આયુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે મોટાભાઈ કૃણાલ ગામીતનો મૃતદેહ ધજાંબા વેલઝર ગામ પાસેથી કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો.

.jpeg)

.png)