ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના એકતરફી અને ભવ્ય જીત બાદ રાજધાની દિલ્હી ખાતે પાર્ટીના મુખ્યમથક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડાએ મોટી સંખ્યામાં હાજર કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, કાર્યકર્તાઓએ જે અથાગ પરિશ્રમ કર્યો તેની સુગંધ આજે આપણે અનુભવી રહ્યા છીએ.

પીએમ મોદીએ મંચ પરથી ઉમેર્યું કે, “આ ચૂંટણીમાં ઘણા લોકોને જાણવા-ઓળખવાનો પણ અવસર મળી ચૂક્યો છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓનું મોટા કેનવાસ પર વિશ્લેષણ કરવું જોઈએ, કે જેઓ પોતાને તટસ્થ કહે છે, જેમનું તટસ્થ હોવું જરૂરી છે, તેઓ ક્યાં ઉભા છે, કેવા રંગ બદલે છે અને કેવા-કેવા ખેલ કરે છે એ જાણવું જરૂરી છે. ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી થઇ, ક્યાં કોની ડિપોઝીટ જપ્ત થઇ કોઈ ચર્ચા નહીં, હિમાચલની ચૂંટણી થઇ, કોની ડિપોઝીટ જપ્ત થઇ, કોની શું હાલત થઇ- તેની કોઈ ચર્ચા નહીં. લોકોએ જાણવું અને સમજવું જોઈએ કે આ પણ ઠેકેદાર છે.”
પીએમ મોદીએ ઉમેર્યું કે, ગુજરાતમાં એસસી/એસટીની લગભગ 40 બેઠકો અનામત છે અને જેમાંથી 34 બેઠકો ભાજપે જીતી છે. તેમણે કહ્યું કે, આજે જનજાતીય સમાજ ભાજપને પોતાનો અવાજ માની રહ્યો છે અને તેમનું જબરદસ્ત સમર્થન ભાજપને મળી રહ્યું છે. આ બદલાવ આખા દેશમાં અનુભવી શકાય તેમ છે.
પીએમ મોદીએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન મેં કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તૂટવો જોઈએ અને મેં વચન આપ્યું હતું કે ભુપેન્દ્રનો રેકોર્ડ તોડવા માટે નરેન્દ્ર જીવ રેડીને મહેનત કરશે. જનતાએ ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. પ્રચંડ જનાદેશ ભાજપને આપીને ગુજરાતના લોકોએ નવો ઇતિહાસ સર્જી દીધો છે.

.png)