વડા પ્રધાને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ વાજતે ગાજતે શરુ કરાયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ગાય-ભેંસ સાથેના અકસ્માત બાદ આજે આણંદમાં એક મહિલા ટ્રેનની અડફેટે આવતા તેણીનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે.
આ પહેલાં પણ વલસાડના અતુલ નજીક ત્રીજી વખત વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન સાથે ગાય અથડાતા ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રેનના એન્જિનને પણ નુકશાન થયું છે.
મહત્વનું છેકે, આ પહેલાં 6 ઓક્ટોબરના રોજ દેશની સૌથી વધારે ઝડપ ધરાવતી 'વંદે ભારત એક્સપ્રેસ' પહેલીવાર દુર્ઘટનાનો ભોગ બન્યા પછી સતત કોઇ ને કોઇ અકસ્માત થઇ રહ્યાં છે. 6 ઓકટોબરના રોજ અમદાવાદમાં વટવા-મણિનગર સ્ટેશન પાસે બપોરે 11:18 કલાકે ટ્રેનની સામે ભેંસોનું એક ઝુંડ આવી ગયું હતું. આ કારણે ટ્રેનનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. જે બાદ ટ્રેનનું સમારકામ કરાવીને વધુ તકેદારી રાખવાની વાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં અવારનવાર થઇ રહેલાં આ અકસ્માતને જોતા હવે આ ટ્રેનને તકેદારીની સાથે દુવાની પણ તાતી જરૂર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.