આજે ગુરુવારે સવારે કેવડિયા ખાતે મિશન લાઈફનું લોન્ચિંગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં વ્યારાના ગુણસદા ગામેથી તેમણે વિશાળ સભાને સંબોધી હતી. આ સાથે જ પીએમે તાપીમાં લોકાર્થે રૂ. 2200 કરોડથી વધુનાં વિકાસકાર્યો ખુલ્લાં મૂક્યાં હતાં. વ્યારાના ગુણસદા ગામે સંબોધેલી સભામાં પીએમ મોદીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસે આદિવાસીઓની મજાક ઉડાવી અને ભાજપ સરકારે ચિંતા કરી કહીને કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા.
રૂ. 1970 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
પીએમે તાપી જિલ્લાના વ્યારાની મુલાકાત લીધી હતી અને રૂ. 1970 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કર્યુ હતું. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાના સુધારાની સાથે સાથે સંપર્ક વિહોણા રસ્તાના નિર્માણ માટે પણ તેમણે શિલાન્યાસ કર્યું હતું. આ સાથે તાપી અને નર્મદા જિલ્લામાં રૂ. 300 કરોડથી વધુના પાણી પુરવઠા પ્રોજેક્ટનો પણ વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો.
"કોંગ્રેસના નેતાઓ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે"
પીએમ નરેન્દ્ર મોદીએ સભા સંબોધતાં જણાવ્યું હતું કે એક બાજુ ભાજપની અને એક બાજુ કોંગ્રેસની સરકાર જોઈ લો. કોંગ્રેસના નેતાઓ આદિવાસી સમાજની મજાક ઉડાવે છે. પહેલાંની સરકારને તમારી નહીં માત્ર મતની જ ચિંતા હતી. આદિવાસી લોકોની વસ્તુઓને ભાવ મળે તે માટે અમારા પ્રયાસો છે, આદિવાસી સમાજનું કલ્યાણ થાય તેવા પ્રયાસો છે. એક સમયે તો રાત્રે લોકો જમવા માટે વીજળીઓ માગતા, જ્યોતિગ્રામ યોજના અંતર્ગત સૌ પહેલા 24 કલાક વીજળી ડાંગમાં મળી. આદિવાસી વિસ્તારમાં ખેતીનો વિકાસ થાય તે માટે અમે કામ કર્યુ.
"એક લાખ કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે ખર્ચ્યા"
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વલસાડમાં વરસાદ ખૂબ પડે, પણ બધું પાણી વહીને જતું રહે, કોંગ્રેસના નેતાઓને એ પણ સમય નહોતો કે તે માટે કામ કરે. ઉકાઈ યોજનાનો લાભ આદિવાસી લોકોને મળે એ માટે અમે સુધારા કર્યા. એક સમયે 100માંથી 25 ઘરોમાં જ પાણી પહોંચતું, હવે મોટાભાગનાં ઘરોમાં પાઈપથી પાણી પહોચતું થઈ ગયું છે. આજે આદિવાસી સમાજના યુવકો ખૂબ આગળ વધ્યા છે, ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે, વિદેશમાં પણ નામ રોશન કરી રહ્યા છે. આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં અમે વધારો કર્યો છે. એક લાખ કરોડ રૂપિયા આદિવાસી સમાજ માટે ખર્ચ્યા છે.
"તમારો આ દીકરો 5 લાખ સુધીનો સારવાર ખર્ચ ઉપાડવા તૈયાર"
તેમણે યોજનાઓ અને તેનાથી આદિવાસી સમાજને થયેલા ફાયદા અંગે જણાવતાં કહ્યું હતું કે અનેક યોજનાથી આદિવાસી યુવકોને ફાયદો થયો, સંજીવની યોજના અંતર્ગત બાળકો માટે દૂધ પહોંચાડ્યું. આદિવાસી સમાજનાં બાળકોને ગંભીર બીમારીઓમાંથી બહાર લાવ્યાં, ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક આહાર મળે તેની ચિંતા અમે કરી. આયુષ્માન ભારત યોજનાથી ગંભીર બીમારીઓની સારવાર કરી છે, તાત્કાલિક ઓપરેશન થાય તેવી વ્યવસ્થા કરી છે. તમારો આ દીકરો 5 લાખ સુધીનો સારવાર ખર્ચ ઉપાડવા તૈયાર છે.
"આદિવાસી દીકરીઓેને પ્રગતિ કરવાની હવે તક મળી"
વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજે સ્વતંત્ર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું છે. આઝાદી બાદ અટલજીની સરકાર સુધી આદિવાસી સમાજ માટે કોઈ મંત્રાલય જ નહોતું, આ કામ કોંગ્રસ પણ કરી શકી હોત. આદિવાસી દીકરીઓેને પ્રગતિ કરવાની હવે તક મળી. વાંસ કાપીને આદિવાસી પરિવાર કમાણી કરતા હતા, એવા કાયદા હતા કે, વાંસ પણ ન કાપી શકો. આખરે ભાજપની સરકારે જ આદિવાસી સમાજની ચિંતા કરી અને તેના માટે બજેટ પણ બહાર પાડ્યું.





.png)