વિધાનસભાની ચૂંટણી આવી રહી છે,ત્યારે દરેક સમાજ પોતાની રીતે પ્રતિનિધિત્વ ઇચ્છે રહ્યો છે. તેને લઈને અલગ અલગ કાર્યક્રમો કરીને શક્તિ પ્રદર્શન કરવાનું છેલ્લા થોડા સમયથી શરૂ થયું છે. આજે સુરતના કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજ દ્વારા રાજકીય ભાગીદારીની માગણી કરવામાં આવી છે.
રાજકીય ભાગીદારીની માગ
કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાપતિ સમાજના મતદારોનો પણ પ્રભાવ જોવા મળે છે. પ્રજાપતિ સમાજ દ્વારા ધનમોરાથી બાપા સીતારામ ચોક સુધી પ્રજાપતિ એકતાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રજાપતિ સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા. કતારગામ વિધાનસભામાં બે ટર્મથી વિનુ મોરડીયા ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યા છે. સમાજ માંગ કરી રહ્યું છે કે આ વખતે તેમને રાજકીય ભાગીદારી મળે.
પ્રજાપતિ સમાજ દ્વારા કાઢવામાં આવેલી એકતાયાત્રાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. તાજેતરમાં જ વિનુ મોરડીયા એવું કહી ચૂક્યા છે કે તેમની ટિકિટ કાપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે પ્રશ્નો ઉભો થાય છે કે પ્રજાપતિ સમાજની એકતાયાત્રા કાઢવા પાછળ કોઈ રાજકીય સમીકરણ કામ કરી રહ્યું છે? ભાજપના હાલના કોઈ મોટા રાજકીય પદ ઉપર બેઠેલા વ્યક્તિના ઈશારે પ્રજાપતિ એકતાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે?



.png)