સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તા.૧૪ ઓકટોબરે ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ યોજાનાર છે. તાપી જિલ્લામાં દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,વ્યારા ખાતે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને સવારે ૧૦-૦૦ થી રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. વ્યારા ખાતેથી અન્ય જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
તાપી જિલ્લા પ્રભારી સચિવ પી.સ્વરૂપના અધ્યક્ષ સ્થાને કલેકટર એચ.કે.વઢવાણિયા,જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
પ્રભારી સચિવ પી.સ્વરૂપે અધિકારીઓને સુચારૂ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, મુખ્ય સ્ટેજ પરથી જુદી જુદી યોજનાના લાભાર્થીઓને પસંદ કરવામાં આવે. તથા વિકલાંગ લાભાર્થી માટે અલાયદી વ્યવસ્થા કરવાની રહેશે. ડોમ, સ્ટોલ, કોન્વે,લાભાર્થીઓ માટે બસની વ્યવસ્થા,પીવાના પાણી,નાસ્તો, પ્રવેશ, પાર્કિંગ વ્યવસ્થા,વોટરપ્રુફ મંડપ વિગેરે પ્લાન નિહાળી ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર આયોજન અંગે પ્રભારી સચિવએ ચર્ચા-વિચારણા કરી હતી.
વ્યારા-નિઝર પ્રાંત, પ્રાયોજના વહીવટદાર અને મામલતદારે સંયુક્ત રીતે વનઅધિકાર પત્રોના લાભાર્થીઓને સર્વેનંબર,ક્ષેત્રફળ અને કાચીનોંધ પાડી આનુષાંગિક તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી નિયમાનુસાર લાભો આપવા તાકિદ કરી હતી.
કલેકટર એચ.કે.વઢવાણિયાએ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીઓ ની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે રાજ્યકક્ષાનો કાર્યક્રમ હોઈ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થનાર છે. જેથી સબંધિત અધિકારીઓને કામગીરીના હુકમો કરી જવાબદારી સોંપવામાં આવી છે. લાભાર્થીઓ માટે લાયઝન ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી છે. મેળા દરમિયાન લાભાર્થીઓ માટે પાણી-નાસ્તા સેનીટેશન,આરોગ્ય વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અધિકારીઓને લાભાર્થીઓના નામો ઓનલાઈન એન્ટ્રીઓ કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને લાવવા-લઈ જવાની વ્યવસ્થા સાથે હેલ્પડેસ્ક સેન્ટર પણ કાર્યરત થાય જેથી લાભાર્થીઓને મુશ્કેલી પડે નહીં.તમામ લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓ આગામી માર્ચ-૨૩ સુધીમાં અપાનાર લાભની કામગીરી ઝડપથી પૂર્ણ કરે અને ગરીબ કલ્યાણ મેળા દરમિયાન જ લાભાર્થી ઓને તેનો લાભ અપાઈ જાય તે મુજબની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
ગરીબ કલ્યાણ મેળા દરમિયાન આદિજાતિ વિભાગ, આરોગ્ય, કૃષિ, પશુપાલન,ગ્રામવિકાસ,મહિલા અને બાળ કલ્યાણ,ફિશરીઝ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,સમાજ કલ્યાણ,સમાજ સુરક્ષા, શિક્ષણ વિગેરે જુદા જુદા ૩૦ જેટલા સ્ટોલ બનાવવામાં આવશે.
આ બેઠકમાં નાયબ વન સંરક્ષક આનંદકુમાર,નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી,પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંકિતાબેન પરમાર,નાયબ પોલીસ અધિક્ષક સી.એમ.જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવા,પ્રાંત અધિકારીઓ આર.સી.પટેલ,જયકુમાર રાવલ, કાર્યપાલક ઈજનેર સ્ટેટ માર્ગ અને મકાન મનીષ પટેલ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી દિપ્તિ રાઠોડ સહિત તમામ અમલીકરણ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.



.png)