ગુણસદા ગામે 44 હજાર ચોરસ મીટરના 5 ડોમમાં 1 લાખ લોકોને વડાપ્રધાન સંબોધશે

0
દેશના વડાપ્રધાન આગામી સમયમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી સંદર્ભે આગામી 20મી ઓક્ટોબરના દિવસે ગુજરાત આવી રહ્યાં છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નજીક ગુણસદા ગામે પણ એક જનસભાને સંબોધન કરવાના છે. કાર્યક્રમને સફળ બનાવવા તાપી જિલ્લા વહીવટી તંત્રએે દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે.



કાર્યક્રમ સોનગઢ નજીક ગુણસદા ગામની સુગર ફેકટરીના ખુલ્લા મેદાનમાં થનાર છે. મંગળવારે સ્થળ પર વિશાળ સભા મંડપ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. અહીં 220*40 મીટરની લંબાઈ અને પહોળાઈ ધરાવતાં કુલ પાંચ ડોમ ઉભા કરવામાં આવનાર છે. કુલ 44000 ચોરસ મીટરના આ પાંચ ડોમમાં અને અન્ય સ્થળે થઈ અંદાજિત એકાદ લાખ લોકો બેસીને દેશના વડાપ્રધાનને સાંભળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. સભા સ્થળ પર અને અન્ય ઠેકાણે મળી હાલ અંદાજે 1000 લોકો રાત દિવસ કામ કરી રહ્યાં છે.

સ્થળ પર પાકા રોડ બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ડોમની અંદર સાઉન્ડ સિસ્ટમ માટેનું ટેસ્ટિંગ થઈ રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. સભા સ્થળ અને તેની આસપાસના બે કિલોમીટરનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો હોય એવું દ્દશ્ય જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતના જિલ્લામાંથી બંદોબસ્ત માટે અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. સભા સ્થળની આસપાસ પાણીની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા, શૌચાલય સહિતની દરેક આનુસંગિક સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ વડાપ્રધાનનો ગુણસદાનો કાર્યક્રમ સફળ બને એ માટે તંત્ર અને સાથોસાથ બીજેપી પાર્ટી દ્વારા પણ પ્રયાસો થઈ રહ્યા છે.

સાપુતારાથી SOU સુધી 1669 કરોડના ખર્ચે બનનારા કોરિડોરનો આરંભ થશે
ગુણસદા ગામ ખાતે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેંદ્રભાઇ પટેલ દ્વારા ડાંગ જિલ્લાના સાપુતારાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતાં અને ડાંગ, તાપી તથા નર્મદા જિલ્લા માંથી પસાર થતા રોડ કોરિડોર ની રૂપિયા 1669.80 કરોડની કામગીરીનો આરંભ કરાવશે. કોરિડોર પૈકીના ફેઇઝ-1 હેઠળના કુલ 92.50 કિલોમીટર લંબાઈ ના રૂ.219.17 કરોડ ના ખર્ચ સાથે છ માર્ગ ને 10 મીટર ં પહોળા કરવાના કામનું ખાતમુહૂર્ત પણ કરશે.આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના રૂપિયા 302.46 કરોડ ના ખર્ચ ના 04 કામ અને ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ ના રૂ.220.58 કરોડ ના છ જેટલાં કામનું ખાતમુહૂર્ત અને પાંચ કામ નું લોકાર્પણ પણ થશે.

સ્થળ પર વીજકંપની દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવા 25 ટ્રાન્સફોર્મર ગોઠવાયા
ડીજીવીસીએલ દ્વારા કાર્યક્રમ દરમિયાન વીજ પુરવઠો વિના વિક્ષેપ સાથે મળતો રહે તે માટે 25 ટ્રાન્સ્ફૉર્મર ગોઠવવાની કામગીરી કર્મચારી કરતાં જોવા મળ્યા હતાં. એ સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે લગભગ 50 વિશાળ જનરેટર મુકાયા છે.

એસટી બસ માટેના પાર્કિંગ દોઢ કિલોમીટર દૂર બનાવાયા
તાપી ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ અને ભરૂચથી લોકોે સભામાં આવશે. બસો માટે સભા સ્થળથી દોઢ કિલોમીટર દૂર ઉકાઈ રોડ પર ત્રણ પાર્કિંગ, કાર અને ટુ વ્હીલર માટે 10 ખુલ્લા મેદાનમાં પાર્કિંગની સગવડ કરી છે.

ગુણસદા સભા દક્ષિણ ગુજરાતની 20 જેટલી બેઠકો પર અસર કરશે
વડાપ્રધાનની સભા છ જિલ્લાની 20 બેઠક પર અસર કરી શકે છે. તાપી જિલ્લાની વ્યારા અને નિઝર સહિત સુરતની છ, નવસારીની ચાર, ડાંગની એક, નર્મદાની બે અને વલસાડ જિલ્લાની પાંચ બેઠક મળી કુલ 20 બેઠકો કબ્જે કરવા બીજેપી નેતા રણનીતિ તૈયાર કરી રહ્યાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top