શરદીય નવરાત્રી 26મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. નવરાતીનો પર્વ ઉજવવા માટે યુવાનો થનગની રહ્યાં છે. ત્યારે ઘરમાં ગરબા (માટલી)ની સ્થાપના કરતાં માતાજીના ભક્તો માતાજીના આગમન માટે તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં છે. અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ હજુ ગ્રામ્ય વિસ્તાર છે. જ્યારે શહેરી વિસ્તારમાં ચીનાઈ માટીમાંથી બનેલા ડિઝાઈનર રંગબેરંગી ગરબાનું ચલણ જોવા મળી રહ્યું છે.
આધુનિક સમયમાં હવે માટીના પરંપરાગત ગરબાને સ્થાને રંગબેરંગી ગરબાઓનું ચલણ વધી રહ્યું છે. પરંતુ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે પણ માટીના ગરબાની પરંપરા જોવા મળે છે. કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર માટીના ગરબા બનાવવામાં આવેલ ગરબાને પહેલું પ્રાધન્ય આપવામાં આવે છે.
હવેના આધુનિક યુગમાં ચિનાઈ માટીના અલગ-અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. જેણે પરંપરાગત ગરબીઓની ડિમાન્ડ ઘટી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો જૂની પરંપરા પ્રમાણે માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી માટીનું કામ કરતા પરિવારને રોજીરોટી મળી રહે છે.
પરંપરાગત ઢબે બનતી માટીની ગરબી જ અમારી પહેલી પસંદ
અમે વર્ષોથી ગરબાની સ્થાપના કરીએ છીએ. હાલ રંગબેરંગી અને સજાવેલા ગરબા મળે છે. પરંતુ અમે વર્ષો પહેલા જે ગરબા (માટલી) મળતી તે જ પ્રકારના ગરબાનું સ્થાપન કરીએ છીએ. ફૂલોથી શણગારીએ છીએ. - રજનીબહેન પટેલ
ગામડામાં સાદા ગરબાની માગ
અમે સુરત બારડોલી સહિત શહેરોમાં ગરબા વેચાણ માટે મોકલીએ છીએ ત્યાં રંગબેરંગી અને શણગાર વાળા ગરબાની ડિમાન્ડ હોય છે. જ્યારે ગામડામાં હજુ પણ સાદા ગરબાની માગ છે. - યશ પ્રજાપતિ, વેપારી



.png)