આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ફરી એક વખત હાસ્યાસ્પદ ઠર્યા છે. તેમણે ભગવંત માનના એક ટ્વિટનું ઊંધું અર્થઘટન કરીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુઝરોએ તરત જુઠ્ઠાણું પકડી પાડ્યું હતું અને લોકોને ભ્રમમાં રાખવાનો પ્રયાસ કરવાના આક્ષેપો કર્યા હતા.
થયું એવું કે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને આજે સવારે એક ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેમની સરકાર જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટેની વિચારણા કરી રહી છે. અંગ્રેજીમાં કરેલા આ ટ્વિટમાં ભગવંત માને કહ્યું કે, “મારી સરકાર જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટેની વિચારણા કરી રહી છે. મેં મુખ્ય સચિવને અમલીકર માટેની સંભાવનાઓ અને પ્રક્રિયાઓ અંગે અભ્યાસ કરવા માટે સૂચના આપી છે. અમે અમારા કર્મચારીઓના કલ્યાણ માટે કટિબદ્ધ છીએ.” ભગવંત માને હજુ તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિચારણા કરી રહ્યા હોવાનું કહ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ તો ઉજવણી કરવાની પણ શરૂ કરી દીધી હતી.
ગોપાલ ઇટાલિયાએ ભગવંત માનના ટ્વિટનું ઊંધું અર્થઘટન કરી ક્વોટ કરીને કહ્યું કે, પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત માને જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ કર્મચારીઓ માટેની ખુશખબર ગણાવી હતી અને કહ્યું હતું કે પંજાબમાં OPS લાગુ કરવામાં આવશે. જોકે, અહીં નોંધવા જેવી બાબત એ છે કે ભગવંત માને યોજન લાગુ કરવાની જાહેરાત કરી નથી પરંતુ હજુ પ્રાથમિક વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટનું અર્થઘટન કંઈક ઊંધું જ કરી નાંખ્યું હતું.
જોકે, કેટલાક યુઝરોનું માનવું છે કે ભગવંત માને અંગ્રેજીમાં ટ્વિટ કર્યું હોવાના કારણે ગોપાલ ઇટાલિયાને સમજ પડી ન હોય અને તેમણે બાફ્યું હશે.



.png)