સુરતની સચિન GIDGમાં આવેલી અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 10 સપ્ટેમ્બરના રોજ આગ લાગી હતી. આ આગમાં 5 લોકોના મોત થયા હતા. નિર્દોષોના ભોગ લેનારી આગ બાદ કંપનીને ક્લોઝ કરી દીધી છે તથા પર્યાવરણને નુકસાન બદલ 1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. સાથે જ DGVCL દ્વારા વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
પર્યાવરણને નુકસાન થતાં દંડ
GPCBના અધિકારી જીજ્ઞાબેને જણાવ્યુું હતું કે, અનુપમ રસાયણને આગ લાગ્યા બાદ થયેલા પર્યાવરણના નુકસાનને કારણે નિયમ અનુસાર 1 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. GPCBના પેરામીટર પ્રમાણે પર્યાવરણને થયેલા નુકસાનના કારણે આ દંડ કાયદાકીય રીતે સર્વે કર્યા બાદ ફટકારવામાં આવ્યો હતો.
પાણી, વીજળી કપાયા
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. જ્યારે સચિન જીઆઇડીસી દ્વારા 17 સપ્ટેમ્બરથી પાણીનું પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે
અનુપમ રસાયણ કંપનીમાં આગ લાગી હતી
સુરતના સચિન GIDCમાં કેમિકલ બનાવતી અનેક કંપનીઓ કાર્યરત છે. અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, તે સમયે જ આગ લાગી હતી. આ આગ જોતજોતામાં ખૂબ જ પ્રસરી ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતાં 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ત્યારબાદ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
20 વ્યક્તિઓ ઘાયલ થયા
અનુપમ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 10 સપ્ટેમ્બર, 2022ના રોજ સચિન GIDCમાં અમારા પ્લાન્ટમાં આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. કંપનીના યુનિટ-6 ખાતે એક મેન્યુફેક્ચરિંગ બ્લોકમાં આગ લાગી હતી. અમારી ફાયર રિસ્પોન્સ ટીમ અને સ્થાનિક ફાયર બ્રિગેડે એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. એક વિશેષ ટીમ આગની ઘટનાના કારણની તપાસ કરી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 5 વ્યક્તિઓના મોત થયાં હતા અને 20 વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
કેમિકલ હોવાથી આગ ઝડપથી પ્રસરી
અનુપમ રસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હોવાને કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી. જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ થતો હોવાને કારણે આગ ઉપર કાબૂ મેળવવો પણ મુશ્કેલ હતો. ફેક્ટરીમાં કેમિકલનાં ડ્રમ ભરેલાં હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધડાકાભેર ડ્રમ ફાટવાથી ભયનો માહોલ ઊભો થયો હતો.
મૃતકોનાં નામ
- અંકુર સુરેશ ભાઈ પટેલ- 33 વર્ષ
- પ્રભાત ધર્મેન્દ્ર ઝા- 23 વર્ષ
- રાકેશ ચૌધરી- 37 વર્ષ
- સંજય ગોવિંદ સિયોરા- 28 વર્ષ
- જયરાજસિંહ ઠાકોર



.png)