સોનગઢ તાલુકાના બોરકુવા ગામે સર્વે નં. 45વાળી જમીનની અદાવત રાખી આશરે પાંચેક વર્ષ પહેલા અનિલ દિવાનજી ગામીતે અન્ય ત્રણ સાગરીતો સાથે મળી ચકવાણનાં પિતરાઈ ભાઈ મનસુખ ગામીતનાં માથામાં પાવડા અને કુહાડીથી હુમલો કર્યો હતો. જેમાં મનસુખ ગામીતને ડાબા હાથના કાંડાના ભાગે કુહાડીનાં ઘાથી ફ્રેક્ચર થયુ હતુ.
અનીલભાઇ રડતીયાભાઇ, નારણભાઇ છોટુભાઇ ગામીત તેમજ ભરતભાઇ છોટુભાઇ ગામીત સાથે મળી હુમલામાં મદદગારી કરતા આ ચારેય વિરૂધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જે કેસ તાપી જિલ્લાના પ્રિંસીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં ચાલી જતા આરોપીઓને ઇ.પી.કો.કલમ 326ના ગુનામાં તકસીરવાર ઠેરવતા 10 વર્ષની સજા અને દરેકને રૂ.50 હજારનો દંડ ફરમાવ્યો છે.
બનાવ અંગેની હકીકત મુજબ સોનગઢ તાલુકાના ચકવાણ ગામના બસ સ્ટેન્ડ ફળિયામાં મનસુખ ભગુભાઇ ગામીત (60)તેના પરિવાર સાથે રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજારે છે ગત તા. 9.01.2017ના રોજ મનસુખભાઈ તેમની પત્ની સાથે બોરકુવા ગામે જમીનમાં કાંદા રોપતા હતા. તે વખતે ચકવાણનો અનીલ ગામીત ગાળો બોલી તું આ જમીન છોડવાનો કે મરવાનો છે આજે તો તને પતાવી દેવાનો છે કહી મનસુખ ગામીતને માથા પર પાવડાનો ઉંધો ઘા મારી દીધો હતો. ત્યાર બાદ કુહાડીથી જમણા પગના નળામાં તથા ડાબા હાથના કાંડાના ભાગે ઉધી કુહાડીના ઘા ઝિંક્યા હતા.
આ સમય અનીલભાઇ રડતીયાભાઇ, નારણભાઇ છોટુભાઇ ગામીત તેમજ ભરતભાઇ છોટુભાઇ ગામીતએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મનસુખનાં ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થયુ હતુ. બોરકુવા ગામે સર્વે નં. 45 વાળી જમીન બાબતે મનસુખ ગામીતે વ્યારાની કોર્ટમાંથી દિવાની દાવો કર્યો હતો, જે દાવો કોર્ટમાંથી વ્યારા પ્રાંતની કચેરીમાં ટ્રાન્સફર થતા મનસુખભાઇની તરફેણમાં ચુકાદો પણ આવ્યો હતો. જેથી મનસુખ ગામીતની તેઓનાં ભત્રીજા નવગીયાભાઇ ચામડીયાભાઇ ગામીત તથા તેમના પરીવાર સાથે અવારનવાર તકરાર થતી આવી હતી.
હાલ તાપી જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.વી.વ્યાસની કોર્ટમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ રમેશભાઈ ચૌહાણ અને સમીરભાઈ પંચોલીની રજૂઆતો અને પૂરતા પુરાવાઓને ધ્યાનમાં રાખી નામદાર જજ એસ.વી.વ્યારા દ્વારા અનિલભાઇ દિવાનજીભાઇ ગામીત, અનીલભાઇ રડતીયાભાઇ ગામીત, નારણભાઇ છોટુભાઇ ગામીત તેમજ ભરતભાઇ છોટુભાઇ ગામીત (તમામ રહે.ચકવાણ, તા.સોનગઢ જી.તાપી)ને સજા ફટકારી છે. ગુનામાં તકસીરવાર ઠેરવતા 10 વર્ષની સજા અને દરેકને રૂ.50 હજારનો દંડ ફરમાવ્યો છે.


.png)