ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ધીરે-ધીરે જામી રહ્યો છે. પરંતુ આ વખતે માહોલ કાંઈક અલગ છે કારણ કે શાસક ભાજપને વિપક્ષ કોંગ્રેસનો નહીં પણ બીજો કોઈ ડર લાગી રહ્યો છે. દિલ્હી મોડલને આગળ કરીને આમ આદમી પાર્ટી (AAP) ડોર ટુ ડોર પ્રચારની તૈયારીઓ કરી રહી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. આમેય સુરતમાં મ્યુનિ. ચૂંટણીમાં કોંગ્રેસનું નામું નંખાયું પણ AAP 27 કોર્પોરેટર સાથે વિપક્ષમાં બેઠી એ બેઠી. બસ, ત્યારથી AAPને તોડવા ભાજપ સામ, દામ, દંડ, ભેદ બધું અજમાવી ચૂક્યો છે પણ તેનો ઈરાદો બર આવતો નથી. એકવાર તો AAPના 6 કોર્પોરેટરને તોડવામાં ભાજપ સફળ રહ્યો, પણ તેમાંથી 2 પરત આપમાં જોડાઈ ગયા છે.
કોર્પોરેટરોને ધારાસભ્યોમાં કન્વર્ટ કરવા AAPનો વ્યૂહ
AAPના પ્રમુખ અરવિંદ કેજરીવાલ વારંવાર સુરતની મુલાકાત લઈ રહ્યા છે તેની પાછળનું એક ઠોસ કારણ છે. પાટીદાર સમુદાય ભાજપથી ભારોભાર નારાજ હોવાનો કેજરીવાલને સંપૂર્ણ વિશ્વાસ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) સાથે ભાજપનું ગોઠવાઈ રહ્યું નથી. બીજીતરફ કોંગ્રેસ તો સુરત અને દક્ષિણ ગુજરાતમાં મરવા પડી છે. આવામાં AAPને ગત મ્યુનિ. ચૂંટણીમાં મળેલી જ્વલંત સફળતાને વિધાનસભા ચૂંટણીમાં કન્વર્ટ કરવા કેજરીવાલ મથી રહ્યા છે. અત્યારે સુરતમાં AAPના 23 કોર્પોરેટર છે જેની સફળતાને વિધાનસભા બેઠકોમાં રૂપાંતરિત કરવાની કેજરીવાલની યોજના છે.


.png)