ઉચ્છલ તાલુકાના મીરકોટ અને તેની આસપાસ આવેલા ચાર પાંચ ગામડાંના લોકો માટે ઉપયોગી એવો મીરકોટથી નેશનલ હાઇવેને જોડતો રોડ અત્યંત બિસમાર બની ગયો હોય અહીંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.સોનગઢથી ઉચ્છલ તરફ જતાં નેશનલ હાઇવે પર ઉચ્છલ તાલુકાના મીરકોટ ત્રણ રસ્તા પાસેથી એક જિલ્લા પંચાયતનો રોડ મહારાષ્ટ્રના લક્કડકોટ ગામ તરફ જાય છે અને તે આગળ સોનગઢ નગર સાથે જોડાઈ છે. રસ્તો મીરકોટ સહિત મહારાષ્ટ્ર, ગુજરાતના ચાર પાંચ ગામને નેશનલ હાઇવે અને સોનગઢને જોડતો અગત્યનો રસ્તો છે.
આ રસ્તા પર થઇ સારા એવાં પ્રમાણમાં વાહનોની સતત અવરજવર જોવા મળે છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતાં જેથી ઘણે ઠેકાણે ખાડામાંથી રોડ શોધવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી.
આ અંગે સ્થાનિક લોકો અને ચૂંટાયેલા સભ્યો દ્વારા પંચાયત માર્ગ મકાન વિભાગ ઉચ્છલને રજૂઆત કરવામાં આવતાં તંત્ર દ્વારા તાજેતરમાં રોડ પર પડેલ ખાડામાં થિંગડા મારવામાં આવ્યાં છે. જોકે થિંગડા મારવામાં પણ તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે. ખાડામાં માત્ર કપચી અને તેનો પાવડર પુરી દેવામાં આવ્યો છે જેથી આવી કપચી ખાડાની ચોમેર ઉડીને રસ્તા પર પથરાયેલી જોવા મળે છે. આ કારણે બાઈક જેવા નાના વાહનો સ્લીપ થવાનો ડર રહે છે.



.png)