દિલ્હી વિધાનસભાની કાર્યવાહી આવતીકાલ સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હવે આવતીકાલે બહુમત સાબિત કરશે. ઉલ્લેખનીય છે કે, સત્તાપલટા માટે ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પોતે જ બહુમત સાબિત કરવા રજૂઆત કરી હતી. તેના દ્વારા તેઓ દિલ્હીમાં ભાજપનું 'ઓપરેશન લોટસ' નિષ્ફળ કરાયું હોવાનું સાબિત કરવા ઈચ્છતા હતા.
ભારે હંગામા સાથે સદનની કાર્યવાહી શરૂ થઈ હતી. ભાજપના ધારાસભ્યોએ વેલમાં ઉતરીને હંગામો કર્યો હતો અને ત્યાર બાદ સ્પીકરે તેમને માર્શલ આઉટ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે પોતે જ વિશ્વાસ મત રજૂ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો કારણ કે, તેઓ પોતાની પાર્ટીમાં કોઈ ભંગાણ ન હોવાનું સાબિત કરવા ઈચ્છતા હતા. હકીકતે તેમણે થોડા દિવસો પહેલા ભાજપ પર એવો આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમની પાર્ટીના ધારાસભ્યોને પક્ષપલટા માટે 20 કરોડ રૂપિયાની ઓફર આપી છે.


.png)