ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ સક્રિય બની છે અને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 22 અને 23 ઓગસ્ટના રોજ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જોકે આ વખતે તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પણ આવવાના છે. તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે તેવી સંભાવનાને પગલે બંને નેતાઓની કડક સુરક્ષા માટે રાજ્યના પોલીસ વડાને રજૂઆત કરી હતી.
પૂરતો બંદોબસ્ત કરવા રાજ્ય પોલીસ વડાને આવેદન પત્ર આપશે
આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રોથી માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ઉપર હુમલો થઈ શકે છે. પોલીસ વડા આશિષ ભાટિયાને આપેલા આવેદન પત્રમાં લખ્યું છે કે, શાસક પક્ષની વિચારધારાથી પ્રેરાઈને કેટલાક અસામાજિક તત્વો કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર હુમલો કરવાનો પ્લાન કરી રહ્યા છે. જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે
ભાવનગર અને હિંમતનગર SPને પણ આવેદન પત્ર આપ્યું
આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી , ભાવનગર એસપીને આવેદનપત્ર આપ્યું હતું.
આવતીકાલથી સિસોદીયા અને કેજરીવાલ બે દિવસ ગુજરાતમાં
અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા રવાના થશે. હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક અગત્યની ઘોષણા કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે.




.png)