કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓ અને કામદારોને 58 વર્ષે નિવૃતી બાદ પેન્શન મેળવવા માટે પી.એફ.કચેરીમાં આંટા ફેરા કરવા પડે છે. નિવૃત થતાં કર્મચારીઓને મુશ્કેલી પડતી હોય છે,ત્યારે વાપી ખાતે શુક્રવારે યોજાયેલા સેમિનારમાં પી.એફ.કચેરીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે કંપનીઓમાં 58 વર્ષે નિવૃત થતાં કર્મચારીઓ અને કર્મચારીઓને 1 માસ અગાઉથી પેન્શન મળવાનું ચાલુ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવામાં આવી છે. કંપનીઓએ કર્મચારીઓને માહિતગાર કરવા જોઇએ.
આઝાદીના 75 માં અમૃત મહોત્સવ અંતર્ગત વાપી PF કચેરી દ્વારા શુક્રવારે VIA માં “પ્રયાસ સે વિશ્વાસ” નામક એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપીના ઉદ્યોગકારો અને કંપનીના ઉચ્ચ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં કંપનીઓ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતાં. વાપી PF કચેરીના આસિસ્ટન પી.એફ.કમિશ્નર ઉપેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત નિવૃત થતાં કર્મચારીઓને તકલીફ ન પડે તે માટે સરકારે નવી વ્યવસ્થા ઊભી કરી છે. હવે 58 વર્ષે રીટાયર થયા બાદ તરત જ 1 મહિના અગાઉ એડવાન્સ પેન્શન શરૂ થઇ જશે.
કંપનીઓમાં કર્મચારીઓની નિવૃત્તિ બાદ તેમને પેન્શન મેળવવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો વાપી PF કચેરી દ્વારા સામેથી નિવૃત્ત થતા કર્મચારીઓને 1 માસ અગાઉ પેન્શન મળે તેવી વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલ,પી.એફ. કમિટીના ચેરમેન લલિત અરોરા અને કો.ચેરમેન રતિકાન્ત તિવારી, વાપી પીએફ કચેરીના આસિસ્ટન પી.એફ.કમિશ્નર ઉપેન્દ્ર કુમાર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર બળવંત કુમાર, સંજય કુમાર,એચ.સી.પરમાર,સમીર કુમાર, દીપક શર્મા, વિજય મીના તથા અન્ય અધિકારીઓ અને સભ્યો, ઉદ્યોગકારો હાજર રહ્યા હતાં.


.png)