તાલુકા શિક્ષણ અધિકારી સ્થળ પર પહોંચી ચાર દિવસમાં નિવેડો લાવવા ખાતરી આપી
ચાકળીયા ગામની પ્રાથમિક શાળામાં નવું સત્ર શરૂ થઈ ગયું હોવા છતાં હજી સુધી પ્રગતિ પત્રક નહિ આપવામાં આવતા રોષે ભરાયેલા વાલીઓએ સોમવારે શાળાના દરવાજે તાળું મારી વિરોધ વ્યક્ત કર્યો હતો. સોનગઢ તાલુકાના ચાકળીયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શીલા બહેન ઝાડ અને શાળાના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ બાબતે ગત થોડા સમય પહેલા મહિલા શિક્ષિકાએ સોનગઢ પોલીસ મથકે સુધાકરભાઇ ગામીત સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
એ પછી પણ શાળામાં થોડા થોડા દિવસે મામલો ગરમ થયા જ કરે છે. સોમવારે ગામના વાલીઓએ તેમના ધોરણ એક અને બેમાં અભ્યાસ કરતાં બાળકોને સત્ર પૂરું થઈ ગયું હોવા છતાં હજી સુધી તેમનું પ્રગતિ પત્ર આપવામાં નથી આવ્યા, એ મુદ્દે શાળાના દરવાજે તાળું મારી દીધું હતું. આ બાબતની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ થતા તેઓ ચાકળીયા ગામે શાળાએ દોડી ગયા હતાં અને સમજાવટ બાદ શાળાનું તાળું ખોલાવી દીધું હતું.
તેમની સમક્ષ વાલીઓ દ્વારા શિક્ષિકા શીલાબહેન દ્વારા બાળકોને પ્રગતિ પત્રક આપવામાં નથી આવ્યા એ પ્રશ્ન રજૂ કર્યો હતો અને શિક્ષિકા બહેનની બદલી કરવા માગ કરી હતી. અધિકારીએ આવનાર દિવસમાં એક કમિટી બનાવી તપાસ કરી ચાર દિવસ બાદ પ્રશ્નના નિરાકરણ અંગેની ખાતરી આપી હતી. તાપી જિલ્લા વિકાસ અધિકારી આ શાળા ના જે કઈ પ્રશ્ન છે એ બાબતે યોગ્ય તપાસ કરી એ પ્રશ્ન નો નિકાલ કરવા સૂચના આપે અને શાળા નું વાતાવરણ સુધરે એ દિશામાં પ્રયાસ કરાવે એ જરૂરી છે.
મને આચાર્યએ પ્રગતિ પત્રક આપ્યા નથી
આ અંગે શિક્ષિકા શીલાબહેને જણાવ્યું કે મને શાળાના આચાર્ય દ્વારા
પ્રગતિ પત્રક આપવામાં નથી આવ્યાં તો હું કઈ રીતે બાળકોને આપી શકું. મને પરિણામ
પત્રક આપવામાં આવ્યાં હતાં, જે હું ભરીને આચાર્યને પરત આપી દીધા છે. સમગ્ર
મામલામાં સરપંચ અને શાળા સંચાલન સમિતિના સભ્યોની બેઠક મળશે એ પછી આગામી દિવસોમાં
સમસ્યાના નિરાકરણ માટે શું પગલાં લેવા એ નક્કી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું
છે.



.png)