ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે યોજાયેલા આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા તેમણે આદિવાસી સમાજના યોગદાન અને શૌર્યની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ જળ, જમીન અને જંગલના સાચા પહેરેદાર છે અને ઇતિહાસ સાક્ષી છે કે આદિવાસીઓએ ક્યારેય અંગ્રેજો સામે માથું ઝૂકાવ્યું નથી. તેમણે ખાસ કરીને ડાંગના રાજાઓની બહાદુરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ડાંગના રાજાઓએ અંગ્રેજોને પોતાની સીમામાં પ્રવેશ કરવા દીધા નહોતા અને તેમના ઘમંડને ચકનાચૂર કર્યો હતો.
હર્ષ સંઘવીએ આઝાદીની લડતમાં ભીલ અને આદિવાસી સમાજના લોકો દ્વારા અપાયેલ શહાદતને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે આઝાદીના ઘણા વર્ષો બાદ પણ આદિવાસી સમાજ પર અત્યાચાર થતો રહ્યો હતો, પરંતુ હાલના સમયમાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામો ઝડપી ગતિએ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આદિવાસી સમાજના ઘરો સુધી વીજળી અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવામાં આવી છે અને દૂરદરાજના ગામડાઓ સુધી વિકાસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસે વર્ષો સુધી આદિવાસી સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો હતો અને તેમની સાચી ચિંતા ક્યારેય કરી નહોતી. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આદિવાસી સમાજનો વિકાસ પચતો નથી અને તેઓ સતત ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહ્યા છે.


.png)