નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 'લાફા કાંડ' સંબંધિત કેસમાં જામીન મેળવવામાં વધુ વિલંબનો સામનો કરવો પડશે. નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા, તેમને હજુ જેલવાસ ભોગવવો પડશે. જામીન અરજી માટે હવે તેમને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે.
જામીન આપવાનો ઇનકાર
ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ છે. સરકારી પક્ષે ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે તેમના અગાઉના કેસોની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા છે અને તે કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉના કેસની ગંભીરતા અને વર્તમાન 'લાફા કાંડ'ની ઘટનાને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.
નર્મદા જિલ્લા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ AAPના ધારાસભ્યને જામીન ન મળતા પક્ષમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ ભાજપ આ મામલે કાયદેસરની કાર્યવાહી પર ભાર મૂકી રહ્યું છે. હવે ચૈતર વસાવા માટે હાઈકોર્ટ એકમાત્ર આશાનું કિરણ છે.