- પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર BCCIએ દંડ ફટકાર્યો
- MIના કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ દંડ ફટકાર્યો
- સ્લો ઓવર રન રેટના કારણે બંને કેપ્ટન અને ટીમના ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો
IPL 2025ની ક્વૉલિફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી ધૂળ ચટાડીને IPL 2025ની ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. ફાઈનલમાં પહોંચવા છતાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર પર BCCIએ દંડ ફટકાર્યો છે.
મુંબઈ VS પંજાબની મેચ બાદ BCCIએ કડક કાર્યવાહી કરતા અય્યર જ નહીં પરંતુ MIના કેપ્ટન હાર્દિક પંડ્યા પર પણ દંડ ફટકાર્યો છે. આ દંડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વૉલિફાયર-2 મેચ દરમિયાન સ્લો ઓવર રન રેટના કારણે લગાવવામાં આવ્યો છે.
IPL 2025 ક્વૉલિફાયર-2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં વરસાદને કારણે મેચ બે કલાક મોડી શરૂ થઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 203 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે 87 રનની અણનમ ઈનિંગ રમીને એક ઓવર બાકી રહેતા ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
અય્યરે મેચમાં 41 બોલમાં 87 રન બનાવ્યા, જેમાં 8 છગ્ગા સામેલ છે. તેના આ શાનદાર પ્રદર્શને મુંબઈના 200 પ્લસ રનના ટાર્ગેટ ચેઝનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલી વાર હતું જ્યારે કોઈ ટીમે મુંબઈ સામે આ ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હોય.
આ મેચમાં મળેલી જીત સાથે પંજાબ કિંગ્સની ટીમે IPL 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી. પરંતુ મેચ પછી BCCI એ મુંબઈ અને પંજાબ બંને ટીમોના કેપ્ટનોને દંડ ફટકાર્યો છે. સ્લો ઓવર રન રેટના કારણે બંને કેપ્ટન અને ટીમના ખેલાડીઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સીઝનમાં પંજાબનો બીજો સ્લો ઓવર રેટ ગુનો હતો, જેના કારણે કેપ્ટન શ્રેયસ અય્યર પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્લેઇંગ ઈલેવનમાં સામેલ તમામ ખેલાડીઓ અને ઇમ્પેક્ટ પ્લેયર પર 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25% જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.