અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
વિમાનનો કાટમાળ 300 થી 400 ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ 4 બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા, જેથી તેમના મોતનો આંક વધી શકે છે.
ટેકઓફ બાદ જ્યારે પ્લેનના ટાયર અંદર ન ગયા, ત્યારે વિમાન સૌપ્રથમ નજીક ચાલતી મેસની બિલ્ડિંગ સાથે અથડાયું. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેનની ટેઈલના (પાછળના ભાગના) બે ટુકડા થઈ ગયા હતા. ત્યારબાદ વિમાન આગળ વધીને અતુલ્યમ બિલ્ડિંગને અથડાયું હતું, જ્યાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ આવેલી હતી. આ અથડામણ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએ થઈ હતી, જેનાથી બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ધરાશાયી થવાની શક્યતા છે.
દુર્ઘટનામાં એક રાહતની વાત એ છે કે, જે બિલ્ડિંગને પ્લેન ટકરાયું તેની બરાબર બાજુમાં જ એક પાંચ માળનું બીજું બિલ્ડિંગ આવેલું છે, જેમાં PG (પેઈંગ ગેસ્ટ) હોસ્ટેલ ચાલે છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહે છે. જો પ્લેન આ PG હોસ્ટેલને અથડાયું હોત, તો જાનમાલની અત્યંત મોટી અને ભયાવહ હાનિ થવાની આશંકા હતી. મહત્વની વાત એ છે કે પ્લેન કોઈ બિલ્ડિંગમાં ઘૂસી ગયું ન હતું, પરંતુ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જો પ્લેન કોઈ બિલ્ડિંગ પર સીધું ક્રેશ થયું હોત કે તેમાં ઘૂસી ગયું હોત તો કદાચ તેનાથી પણ વધુ ભારે ખાનાખરાબી સર્જાઈ હોત. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને દુર્ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.