દક્ષિણ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે આ હુમલાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ નિર્ણયો અને જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે.
પહલગામ હુમલાને લઈને આવતીકાલે યોજાશે સર્વદળીય બેઠક
CCSની બેઠકમાં પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. પાર્લામેન્ટ એનેક્સીમાં આ બેઠક યોજાશે. આ બેઠક માટે આવતીકાલે શેડ્યૂલ કરાયું છે.
CCSની બેઠકમાં 5 સૌથી મોટા નિર્ણય
CCSની બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલાને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરાઈ. આતંકવાદને લઈને ઝીરો ટોલરેન્સની નીતિ રહેશે. હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું છે. દુનિયાભરે આતંકી હુમલાની નિંદા કરી છે.' CCSની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિદેશ સચિવે માહિતી આપી હતી. જેમાં તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરાયા છે અને પાક.ના ઉચ્ચાયુક્તને પરત પાકિસ્તાન મોકલાશે. આ સિવાય સિંધુ જળ કરાર પર રોક લગાવી દેવાઈ છે.
1) સિંધુ જળ કરાર પર રોક લગાવાશે
પાકિસ્તાન દ્વારા બોર્ડર પર આતંકવાદનું સમર્થન રોકવા માટે 1960ની સિંધુ જળ કરારને સ્થગિત કરી દેવાયો છે.
2) અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરાશે
અટારી ચેક પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. કાયદેસર દસ્તાવેજો સાથે જે લોકો પહેલા જ પાર કરી ચૂક્યા છે, તેમણે 1 મે પહેલા પરત જવા કહેવાયું છે.
3) તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ
પાકિસ્તાની નાગરિકોને SAARC હેઠળ વિઝા છૂટ યોજના હેઠળ ભારતમાં પ્રવેશ નહીં મળે. પહેલા જાહેર કરાયેલા તમામ SVES વિઝા રદ કરી દેવાશે. SVES વિઝા પર પહેલાથી જ ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવું પડશે.
4) ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ
દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયુક્તમાં તૈનાત રક્ષા અને સૈન્ય સલાહકારોને 'પર્સોના નૉન ગ્રાટા' જાહેર કરી દેવાયા છે અને તેમને એક અઠવાડિયામાં ભારત છોડવાના આદેશ આપી દેવાયા છે. આ પ્રકારે, ભારત પોતાના રક્ષા સલાહકારોને ઇસ્લામાબાદ પરત બોલાવશે. આવા પાંચ સહયોગી સ્ટાફને પણ પરત બોલાવશે.
5) ઉચ્ચાયુક્ત કર્મચારીઓ ઘટાડવાનો નિર્ણય
બંને ઉચ્ચાયુક્તમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય લેવાયો છે, અને આ નિર્ણય 1 મેથી લાગુ કરાશે.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ
પહલગામ હુમલાને લઈને થયેલી CCSની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, આ બેઠક અંદાજિત અઢી કલાક સુધી ચાલી. બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. રાજનાથ સિંહ 7-લોક કલ્યાણ માર્ગથી રવાના થયા છે.