- ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું
- કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયાં
- કેનાલના ભંગાણ બાદ હાલ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયાં છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે. હાલ સિવાય સિંચાઈ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે પહોંચી ગયાં છે. જોકે, હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતાં કલાકોનો સમય લાગી શકે છે. પાણીનો પ્રવાહ રોકાઈ નથી રહ્યો ત્યારે ખેડૂતોને પાકને નુકસાન થવાનો ભય છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ આ કેનાલમાં ભંગાણ થયું હતું. જેના કારણે કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માંડવી ઉશ્કેર નજીક કેનાલના ભંગાણ બાદ હાલ પાળો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ, પાણીનો પ્રવાહ હજુ સુધી બંધ નથી થઈ રહ્યો અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ત્યારે આ મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 'વહેલી સવારે ત્રણ વાગ્યે અમને એક ખાતેદારનો કોલ આવ્યો હતો કે, કેનાલમાં આ સ્થળે એક ભંગાણ પડ્યું છે. બાદમાં તપાસ કરાવતાં વિગત સાચી હોવાની જાણ થઈ અને તુરંત ઝીરો એચઆરમાંથી અમે તાત્કાલિક મેઇન કેનાલના દરવાજા બંધ કરાવ્યાં અને એસ્કેપ ઓપન કરાવી પાણી ડાયવર્ટ કર્યું હતું. હાલ, અમે સ્થળ પર હાજર છીએ યુદ્ધના ધોરણે કેનાલના સમારકામની કામગીરી શરૂ થઈ ચુકી છે. જે બે દિવસમાં પૂર્ણ થઈ જશે.'
ખેડૂતોને ભારે નુકસાન
હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ટૂંક સમયમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થશે. એવા સમયે કેનાલમાં ભંગાણ થવાના કારણે પાણીનો વેડફાડ થઈ રહ્યો છે. જોકે, તંત્રના ભ્રષ્ટાચારના ભોગે ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.