આવતીકાલે સોમવાર (24 જૂન)થી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પ્રથમ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોટેમ સ્પીકરને સવારે 9.30 કલાકે શપથ લેવડાવશે. દેશમાં નવી સરકાર બન્યા બાદ આ પ્રથમ સત્ર યોજાવાનું છે, જોકે ઓમ બિરલા સત્રની શરૂઆત પહેલા સુધી લોકસભાના અધ્યક્ષ પદ પર રહેશે, પરંતુ સત્ર શરૂ થતાંની સાથે જ પૂર્વ અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થઈ જાય છે.

પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે
સત્રની શરૂઆતમાં પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. સૌથી પહેલા વડાપ્રધાન શપથ લે છે, ત્યારબાદ કેબિનેટ મંત્રીઓ અને પછી બાકીના સાંસદો શપથ લેશે. પ્રોટેમ સ્પીકરને પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. આ પદ માત્ર બે દિવસ માટે છે.
પ્રોટેમ સ્પીકરની મદદ માટે એટલે કે તેમની થોડા સમય માટેની ગેરહાજરી દરમિયાન તેમની ખુરશી પર બેસી ગૃહનું કાર્ય ચલાવવા માટે પાંચ પ્રિસાઇડિંગ ઓફિસરોનું નામ ચર્ચાઈ રહ્યું છે, જેમાં કે.સુરેશ, સુદીપ બંદોપાધ્યાય, ટી.આર.બાલુ, રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તેનો સમાવેશ થાય છે.
પ્રોટેમ સ્પીકર તરીકે કોણ ચૂંટાય છે?
બંધારણમાં પ્રોટેમ સ્પીકરનો ઉલ્લેખ નથી, પરંતુ સંસદીય બાબતોના મંત્રાલયની હેન્ડ બુકમાં તેનો ઉલ્લેખ છે. પ્રોટેમ સ્પીકરની કામગીરી સાંસદોને શપથ અપાવવા ઉપરાંત અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા હોય છે. પરંપરા મુજબ પ્રોટેમ સ્પીકર તરીકે સૌથી વરિષ્ઠ સાંસદની પસંદગી થાય છે, પરંતુ આ માટે કોઈ લેખિત કે નિશ્ચિત નિયમ નથી.
ભૃતુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવાનો વિરોધ
આ વખતે વિપક્ષ ભૃતુહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટવાનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે મહતાબ માત્ર સાત વખત લોકસભાના સાંસદ બન્યા છે, જ્યારે કે.સુરેશ આઠમી વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. જો કે, સંસદીય બાબતોના મંત્રીની દલીલ છે કે, સુરેશ લોકસભામાં બે વખત સાંસદ તરીકે ચૂંટાયા ન હોવાને કારણે સતત સેવા આપી શક્યા નથી, જ્યારે મહતાબ છેલ્લા બે વર્ષથી સતત લોકસભાના સાંસદ છે.


.png)