દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હોય આજે બાકીની ચાર બેઠકો પર 78 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચાર બેઠકોના કુલ 37 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. નવસારી બેઠક પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ચૂંટણી મેદાનમાં છે. તો તેમની સામે કોંગ્રેસે નૈષધ દેસાઈને મેદાને ઉતાર્યા છે. નવસારી લોકસભા બેઠક પર સી.આર.પાટીલ સતત ચોથીવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.બારડોલી લોકસભા બેઠક પર સતત બે ટર્મથી સાંસદ રહેલા પ્રભુ વસાવાને ભાજપે સતત ત્રીજી વાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે. ત્યારે અહીં પ્રભુ વસાવા જીતની હેટ્રિક લગાવશે કે સિદ્ધાર્થ ચૌધરી તેઓને હેટ્રિક કરતા અટકાવશે તે જોવું મહત્વનું બની રહેશે.
ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાનો જંગ
ગુજરાતની ચર્ચિત બેઠકો પૈકીની એક બેઠક ભરૂચ બેઠક છે. અહીં ભાજપે મનસુખ વસાવાને સતત સાતમી વાર ટિકિટ આપી છે. તો I.N.D.I.ગઠબંધને AAPના ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. આદિવાસીઓના ગઢમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
વલસાડ બેઠક પર કોણ મારશે બાજી?
વલસાડ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપના કબજામાં છે. જો કે, 2024માં ભાજપે સીટીંગ MP કે.સી.પટેલની ટિકિટ કાપીને ધવલ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો સામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ હવે દિલ્હી દોડમાં ઉતર્યા છે. આદિવાસીઓના ગઢ સમાન આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. વલસાડ લોકસભા બેઠકનો એક રોચક ઈતિહાસ પણ રહ્યો છે કે, જે પક્ષનો ઉમેદવાર અહીં વિજેતા થાય છે તે પક્ષ જ કેન્દ્રમાં શાસનમાં આવતો હોય છે.



.png)