સુરતના લિંબાયતમાં બહેન સાથે પ્રેમસંબંધનો વહેમ રાખીને બે ભાઈએ ઘરની સામે રહેતા યુવકની હત્યા કરી છે. નૂરાની મસ્જિદ પાસે બે ભાઈએ મળીને ઘરની સામે જ રહેતા એક યુવકને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. બનાવમાં છોડાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ ચપ્પુ માર્યું હતું. બંને યુવકો ઈજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ એક યુવકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને મૃતક યુવકનાં પરિવારજનોનાં નિવેદનો લીધાં હતાં. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને હાલ શોધખોળ હાથ ધરી છે.
નૂરાની મસ્જિદ પાસે યુવકની હત્યા
લિંબાયત પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લિંબાયતના નૂરાની મસ્જિદ પાસે આઝાદ ચોકમાં રહેતા શહેબાઝ અસ્લખાન કાજી તેમજ તેનો મિત્ર ફૈઝલ ગત મોડીરાત્રે નૂરાની મસ્જિદ પાસે જોધપુર સ્વીટ્સના ઓટલા પર બેઠા હતા, ત્યારે આરોપી બે ભાઈ- સમીર મર્દાનગી અને આમિન કાલુ તીક્ષ્ણ હથિયારો લઈને ત્યાં ધસી આવ્યા હતા. એમાં સમીરે પાછળથી શહેબાઝને પકડી રાખ્યો હતો જ્યારે આમીને શહેબાઝના પેટમાં ચપ્પુના ઘા માર્યા હતા. બનાવમાં શહેબાઝનો મિત્ર ફૈઝલ છોડાવવા માટે વચ્ચે પડતાં બંને ભાઈએ મિત્રને પણ પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા.
યુવતીના પરિવારજનોએ મકાન ફેરવી નાખ્યું
લિંબાયત બાદ વરાછા વિસ્તારમાંથી પણ પ્રેમ પ્રકરણના કારણે જ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં વરાછા ખાતે આવેલા ગીતાનગરમાં રહેતો 24 વર્ષીય મેહુલ સોલંકી રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. મેહુલના ઘર નજીકમાં જ આવેલી સોસાયટીમાં રહેતી યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ થયો હતો. જે મામલે યુવતીના પરિવારજનોને જાણ થતા તેમણે મકાન ફેરવી અલગ જગ્યાએ રહેઠાણ કરી લીધું હતું તેમછતાં બંને એકબીજા સાથે સતત સંપર્કમાં જોડાયેલા હતા.
બહેનપણીના ઘરે પ્રેમીને મળવા બોલાવ્યો
જોકે, ગીતાનગરની બાજુમાં આવેલી માધવપાર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. પ્રેમિકા તેની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ઘરેથી ગતરોજ યુવતીએ મેહુલને ફોન કરીને માધવપાર્ક પાસે મળવા બોલાવ્યો હતો. અહીં બંને પ્રેમીઓ મળી રહ્યા હતા. તે દરમિયાન જ યુવતીના ભાઈઓ અને કાકા કુલ ત્રણ જણા ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રેમી યુવક પર હુમલો કરી તેને માર માર્યો હતો.
વરાછામાં પ્રેમિકાના ભાઈઓ અને કાકાએ પ્રેમીને ઢોરમાર માર્યો
વરાછામાં પ્રેમી યુવકને પ્રેમિકાએ ફોન કરી મળવા બોલાવ્યા બાદ પ્રેમી મળવા જતા મોત મળ્યું હતું. પ્રેમી પ્રેમિકા પાસે ગયો ત્યારે પ્રેમિકાના બે ભાઈઓ અને કાકા પણ ત્યાં જ હાજર હતા. આ દરમિયાન ત્રણેયે મળીને યુવકને ઢોર માર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર યુવતીના બે ભાઈ અને કાકાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બંને યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા
ખૂની ખેલ્યા બાદ બંને ભાઈ સ્થળ પરથી ભાગી ગયા હતા. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયેલા શહેબાઝ કાઝી અને તેના મિત્ર ફૈઝલને સારવાર માટે એપ્પલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર બાદ સવારે શહેનબાઝ ખાન કાઝીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે મિત્ર ફૈઝલને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જોકે ઘટના અંગે જાણ થતાં લિંબાયત પોલીસનો સહિત ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું
વરાછાના બનાવ અંગે ACP પી.કે.પટેલે જણાવ્યું હતું કે, યુવક તેની પ્રેમિકાને મળવા પહોંચ્યો હતો ત્યારે યુવતીનો સગો ભાઈ, મામાનો દીકરો, પિતરાઈ ભાઈ અને કાકા ત્યાં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન ત્રણેયે મળીને યુવકને ઢીક્કામૂકીથી, પટ્ટા, દોરડા અને લાકડા વડે ઢોરમાર માર્યો હતો. જેને લઇ મેહુલ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી, તેને સારવાર માટે મેહુલને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં સારવાર દરમિયાન મેહુલનું મોત નીપજ્યું હતું. મેહુલના મોતને પગલે તેના ભાઈ દ્વારા વરાછા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ આપવામાં આવી છે. પરિવારની ફરિયાદને આધારે વરાછા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનામાં મૃતદેને પોસ્ટમોટમ અર્થે મોકલી યુવતીના બે ભાઈ અને કાકા સામે હત્યાનો ગુનો નોંધી તમામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાને લઈ શહેબાઝના ભાઈએ ફરિયાદ નોંધાવી
પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી હતી તેમજ મૃતકનાં પરિવારજનોનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં. આ બનાવમાં પોલીસે મરનાર શહેબાઝના ભાઈ અરબાઝ ખાન કાઝીની ફરિયાદ લીધી હતી. ફરિયાદ આધારે આરોપી સમીર મર્દાનગી અને તેના ભાઈ આમિન કાલુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમને પકડવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બહેન સાથે પ્રેમસંબંધના શંકામાં હત્યા
પોલીસે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે બંને આરોપી અને મરનાર શહેબાઝ ખાન એક જ ગલીમાં રહેતા હતા તેમજ બંનેનાં ઘરો પણ આમને-સામને જ છે. આ દરમિયાન આરોપીઓને એવી શંકા હતી કે તેમની બહેન અને મરનાર શહેબાઝ વચ્ચે પ્રેમસંબંધો છે. એની અદાવત રાખી આરોપીઓ દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ ગત રાત્રે જ્યારે મરનાર યુવાન તેના મિત્ર ફૈઝલ સાથે બેઠા હતા ત્યારે આરોપીઓ તેની નજીક ધસી ગયા હતા અને પ્રેમસંબંધનો શંક રાખી તેની સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ તેની સાથે મારામારી કરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
યુવકના પરિવારે કડક સજાની માગ કરી
આ ઘટનામાં ભોગ બનનાર મેહુલ સોલંકી મૂળ ભાવનગરનો વતની છે. મેહુલના પિતા રાઘવ સોલંકી અને માતા વતનમાં ખેતીકામ કરે છે. મેહુલ સુરતમાં રત્નકલાકાર તરીકે નોકરી કરી વતનમાં રહેતા માતા-પિતાને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. અહીં 4 વર્ષ અગાઉથી જ મેહુલ ઘર પાસે આવેલી સોસાયટીમાં રહેતી યુવતીના પ્રેમ સંબંધમાં બંધાઈ ગયો હતો. બંનેનો 4 વર્ષથી પ્રેમ સંબંધ ચાલતો આવી રહ્યો હતો. જ્યારે આ વાતની જાણ યુવતીના પરિવારને થઈ જતા પ્રેમીકા યુવતીના ભાઈઓએ પ્રેમી યુવક મેહુલને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. સમગ્ર ઘટનાને લઇ મેહુલના પરિવાર શોકમગ્ન થઈ ગયા છે. પરિવારના લોકો આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


.png)