લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, સુરતમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે.
બન્નેએ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ હતું. જોકે, આજે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.
પાર્ટીમાં ઘણા સમયથી હું નિષ્ક્રિય હતો
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી હું નિષ્ક્રિય હતો. સામાજિક અન્ય જવાબદારી હોવાને કારણે પાર્ટી સાથે વધુ કામ કરી શકતો નહોતો અને તેના કારણે પાર્ટી છોડી છે. સામાન્ય રીતે પક્ષ છોડવાનો એવો કોઈ સમય હોતો નથી. કોઈપણ પક્ષમાં જોડાવવું કે છોડવો એમાં સમયનું કોઈ મહત્વ નથી. પક્ષમાં અમને જે કામગીરી સોંપવામાં આવી હતી તે અમે યોગ્ય રીતે નિભાવી છે. આગામી દિવસોમાં જે પણ બાબત હશે તે જાહેર કરીશું.