ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાનાર છે, તેને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર માટે તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 થી 12 જેટલી જંગી જાહેર સભા અને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત લોકસભાના ક્લસ્ટર મુજબ જાહેર સભા અને રેલીનું આયોજન થઈ રહ્યું છે.
સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 લોકસભા બેઠકને ક્લસ્ટર બનાવી દેવાયા છે. આ ક્લસ્ટર મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અર્બન વિસ્તારમાં આ રોડ શોની સાથોસાથ જંગી જાહેર સભા પણ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને વિકાસના કામોની યાદી જાહેર કરવામાં આવશે. 15મી એપ્રિલની આસપાસ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું બિન સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
PM મોદીના પ્રચાર માટે એવા જિલ્લાઓ પર વધુ ફોકસ કરવામાં આવી શકે છે, જ્યાં ભાજપમાં આંતરિક કકળાટ અને વિરોધ જોવા મળી રહ્યો છે. આ સાથે જ, વિરોધના કારણે ભાજપની વોટબેંક નબળી પડતા વિસ્તારોમાં વધી ધ્યાન રાખવામાં આવી શકે છે.




.png)