ભેંસાણ ચોકડી નજીક બાઈક સવાર પિતા-પુત્રને પુરપાટ ઝડપે પસાર થતા ટ્રક ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 વર્ષીય પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાને સામાન્ય ઈજા થઈ હતી. બનાવ અંગે પાલ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુળ ભાવનગરના વતની અને દાંડી રોડ સાકેત આશ્રમની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 14 વર્ષીય પુત્ર દર્શન ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. ગુરૂવારે સવારે ઈશ્વરભાઈ તેમના પુત્ર દર્શનને સાથે લઈ બુલેટ પર મોરાભાગળ જવા માટે નીકળ્યા હતા.
તેઓ ભેંસાણ ચોકડી પાસેથી પસાર થતા હતા. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક ટ્રક ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતમાં દર્શન ગંભીર રીતે ઘવાયો હતો જ્યારે ઈશ્વરભાઈને સામાન્ય ઈજા થઈ હતી.
ગંભીર રીતે ઘવાયેલા દર્શનને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા પાલ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં ટ્રાફિક સંચાલનના અભાવમાં વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે.


.png)