દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આજે (ગુરુવાર) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. કોર્ટે આજે બપોરે જ સુનાવણી હાથ ધરી કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. હાલ મળતા અહેવાલો મુજબ કેજરીવાલના ઘરની તપાસ કરવામાં આવી રહી છે અને ટીમ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.
કેજરીવાલના નિવાસસ્થાન બહાર પોલીસ કાફલો ખડકાયો
હાલ કેજરીવાલ નિવાસસ્થાનની બહાર પોલીસનો કાફલો પણ તહેનાત કરાયો છે. આ ઉપરાંત DCP સહિતના છથી સાત અધિકારીઓ પણ ત્યાં હોવાની વિગતો સામે આવી છે. હાલ કેજરીવાલના ઘરે છથી આઠ અધિકારીઓ પહોંચ્યા છે અને તેમને 10મું સમન્સ પાઠવવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં પૂછપરછ માટે કેજરીવાલને અત્યાર સુધીમાં નવ સમન્સ પાઠવ્યા છે.
હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવા ઈન્કાર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટમાં આજે જ લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટ તરફથી કેજરીવાલને કોઈ રાહત મળી નથી. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. દિલ્હી હાઈકોર્ટે ઈડીને અરવિંદ કેજરીવાલની અરજી પર બે અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. હવે આ કેસમાં દિલ્હી હાઈકોર્ટ આગામી સુનાવણી 22મી એપ્રિલે કરશે.
કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે : કોર્ટ
આ અગાઉ ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
સીએમ કેજરીવાલના નિવાસસ્થાને શું થઈ રહ્યું છે.?
સીએમ કેજરીવાલના નિવાસસ્થાને શું થઈ રહ્યું છે.?
- 8:57 pm: ED ઓફિસર કપિલ રાજ, EDના જોઈન્ટ ડાયરેક્ટર પણ કેજરીવાલના ઘરે છે. તેમના જણાવ્યા અનુસાર, કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ રેકોર્ડ કરવામાં આવ્યું હતું...
- 8:47 pm: પોલીસ સૂત્રોચ્ચાર કરી રહેલા AAP નેતાઓની અટકાયત કરી રહી છે, ઘણા AAP સમર્થકોની અટકાયત કરવામાં આવી છે અને તેમને CM નિવાસસ્થાનથી દૂર કરવામાં આવ્યા છે.
- 8:45 pm: સ્પીકરે કહ્યું- CM કેજરીવાલ ધરપકડ બાદ પણ રાજીનામું નહીં આપે.
- 8:32 pm: ED ઓફિસની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
- 8:30 pm: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસની બહાર પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
- 8:29 pm: CM અરવિંદ કેજરીવાલના ઘરે કલમ 144 લાગુ. સીએમ કેજરીવાલના ઘરની બહાર વધતી ભીડને કાબૂમાં લેવા માટે આવું કરવામાં આવ્યું છે.


.png)