દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અન્ના હજારેએ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે, દિલ્હી સરકારની લિકર પોલિસી અને તેના દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં અરવિંદ કેજરીવાલની ધરપકડથી મને ખૂબ દુ:ખ થયું. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવામાં આવેલા આ દેશના સૌથી મોટા જન લોકપાલ આંદોલનમાં મારા સાથી રહેલા અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ થવી એ સૌથી મોટી વિડબંના છે.

અન્ના હજારેએ પત્રમાં આગળ લખ્યું કે, જે તમામ બાબતો વિરુદ્ધ લડવામાં મેં મારું આખું જીવન વિતાવી દીધુ તેના વિરુદ્ધ જઈને કેજરીવાલે કરોડો ભારતીયોનો વિશ્વાસ તોડ્યો છે. આ પ્રકારના વ્યવહારથી સામાજિક આંદોલનમાં કામ કરનારા કાર્યકર્તાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે, એક પવિત્ર આંદોલનનો એક રાજનીતિક ફાયદા માટે ઉપયોગ કરવામાં આવ્યો.
સત્ય જનતા સામે લાવવા માટે કહ્યું હતું
અન્ના હજારેએ પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, દિલ્હી સરકારની લિકર પોલિસી દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ મેં ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 30 ઓગષ્ટ 2022ના રોજ એક પત્ર લખ્યો હતો. તેમાં મેં તેમને કહ્યું હતું કે આ સમગ્ર મામલાની જાણ થયા બાદ હું હેરાન અને હતાશ છું. આ સમગ્ર મામલાના અંત સુધી જઈને તપાસ થવી જોઈએ અને મને આશા છે કે સંપૂર્ણ તપાસ બાદ સત્ય જનતા સામે આવશે અને ગુનેગારોને સજા થશે. તેમણે આગળ લખ્યું કે, એક આંદોલન રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે તબાહ કરી દેવામાં આવ્યું. આ બાબતનું ખૂબ જ દુઃખ થયુ છે. આજે આ આંદોલનનો રાજકીય વિકલ્પ પણ નિષ્ફળ ગયો છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.
મને કેજરીવાલની સ્થિતિ પર કોઈ દુ:ખ નથી: અન્ના હજારે
શુક્રવારે મીડિયા સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું હતું કે જ્યારે આંદોલન સમયે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા અમારી સાથે આવ્યા હતા ત્યારે મેં બંનેને દેશના કલ્યાણ માટે કામ કરવાનું કહ્યું હતું. પરંતુ બંનેએ મારી વાત પર ધ્યાન ન આપ્યું. કેજરીવાલે પણ મારી વાત ન માની. આવી સ્થિતિમાં હું તેમને કોઈ સલાહ નહીં આપીશ અને સાથે જ મને કેજરીવાલની સ્થિતિ પર કોઈ દુ:ખ નથી.


.png)